RBIએ ધિરાણ નિયમો હળવા કર્યા; હોમ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
નવી દિલ્હી, 17 જુલાઇ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ દેશમાં ધિરાણના નિયમો હળવા કરતા જ હોમ લોન ધારકોનો માસિક હપ્તો એટલે કે ઇએમઆઇ (EMI) સસ્તો થવાની ધારણા માર્કેટ એક્સપર્ટ જોઇ રહ્યા છે. આનો સીધો ફાયદો હોમ લોન ધારકોને થવા ઉપરાંત રિયલ્ટી સેક્ટરને પણ થશે.
સરકારની ઇચ્છા મુજબ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ખરા અર્થમાં પ્રોત્સાહન મળે અને એની ગતિવિધિ ઝડપી બને એવા નિર્ણયો RBIએ લીધા છે. રિઝર્વ બેંકના આ પગલાંથી હાઉસિંગ તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને જબરદસ્ત વેગ પકડવાની તક મળી છે.
રિઝર્વ બેંકના આ ઉદાર અને વ્યવહારુ કહી શકાય એવા નિર્ણય અનુસાર આ બન્ને સેક્ટર જ્યારે પણ બોન્ડ્સ મારફત નાણાભંડોળ ઊભું કરશે ત્યારે એમણે આ ભંડોળમાંથી રિઝર્વ બૅન્કના CRR (કેશ રિઝર્વ રેશિયો) તેમ જ SLR (સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો) જાળવવાની જરૂર નહીં રહે.
આ ઉપરાંત બેંકોને આ સેક્ટર સંબંધી ઊભાં કરાયેલાં નાણાંમાંથી પ્રાયોરિટી સેક્ટરને ધિરાણની પણ ફરજ પડાશે નહીં. આમ એકંદરે આને પરિણામે બૅન્કો પાસે પ્રવાહિતા વધશે, જે આ બેઉ સેક્ટરને નાણાં ધીરવામાં ઉપયોગી બનશે.
RBIએનાં નવાં ધોરણો મુજબ હોમ-લોન માટે બેંકો મેટ્રો સિટીઝમાં 65 લાખ રૂપિયા સુધીના ઘર માટે 50 લાખ રૂપિયા અને અન્ય સ્થળોએ 50 લાખ રૂપિયા સુધીના ઘર માટે 40 લાખ રૂપિયા સુધી લોન આપી શકશે. આ પ્રવાહિતા વધવાને પરિણામે બેંકો વ્યાજદરમાં મધ્યમ ગાળામાં 25થી 50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરી શકશે.
નાણાપ્રધાને બજેટમાં આ બાબતે રાહત આપવાની વાત કરી હતી, જેને પગલે RBIએ આ નિર્ણયો લીધા છે. રિઝર્વ બેંકે નિયમોમાં ઢીલ આપીને અફોર્ડેબલ હાઉસિંગને પણ આવરી લીધું છે.
રિયલ એસ્ટેટના અગ્રણીઓ માને છે કે આ પગલાથી હાઉસિંગની ડિમાન્ડ વધી શકે છે અને ઘર ખરીદનાર વર્ગને રાહત પણ મળી શકે છે, કારણ કે બૅન્કોને CRR તથા SLRમાંથી મુક્તિ આપવામાં આવતાં તેમની ફન્ડ કોસ્ટ ઘટશે જેનો લાભ તેઓ લોન લેનાર વર્ગને ટ્રાન્સફર કરશે.