સમગ્ર દેશમાં 6 મહિનામાં નંબર પોર્ટેબિલિટી અમલી બનાવો : ટ્રાઇ
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : દૂરસંચાર નિયામક ટ્રાઇએ સૂચન કર્યું છે કે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) આગામી છ મહિનામાં સમગ્ર દેશમાં અમલી બનાવી દેવામાં આવે જેથી ગ્રાહક અન્ય સેવા ક્ષેત્રમાં સ્થળાંતર કરે છતાં તેનો નંબર એ જ રહે.
વર્તમાન સમયમાં એમએનપી સુવિધા ગ્રાહકના સેવાક્ષેત્રમાં જ અથવા તેના સર્કલમાં જ અમલી બનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે દિલ્હી સર્કલના ગ્રાહકો માત્ર દિલ્હી સર્કલમાં જ પોતાનો નંબર પોર્ટ કરાવી શકે છે. હવે સમગ્ર દેશમાં નંબર પોર્ટેબિલિટી અમલી બનશે તે પછી દિલ્હીનો ગ્રાહક દેશના કોઇ પણ સર્કલમાં નંબર પોર્ટ કરાવી શકશે.
ટ્રાઇએ સંપૂર્ણ રીતે નંબર પોર્ટેબિલિટી અમલી બનાવવા માટે અપનાવવામાં આવનારી કાર્ય પદ્ધતિ અંગે આ વર્ષે ભાગીદારો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. ટ્રાઇએ જણાવ્યું કે આ મુદ્દે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ ટ્રાઇએ સંપૂર્ણ એમએનપી અમલી બનાવવા માટેની ભલામણ રજૂ કરી છે. આ માટે મોબાઇલ ઓપરેટર્સને છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.