રેલવેને PPP અંતર્ગત રૂપિયા 15000 કરોડની દરખાસ્તો મળી છે : સદાનંદ ગૌડા
નવી દિલ્હી, 16 જુલાઇ : રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય રેલવેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી - PPP) મોડ અંતર્ગત વિવિધ યોજનાઓ માટે અંદાજે રૂપિયા 15,000 કરોડની દરખાસ્તો મળી છે.
રેલવે મંત્રાલયે તાજેતરમાં કરેલા મુસાફરી ભાડામાં 14.2 ટકા અને રેલવે નૂરમાં 6.5 ટકાના વધારાનો બચાવ કરતા રેલવે પ્રધાને જણાવ્યું કે આ વધારો સમયની તાતી માંગ હતી તેના કારણે કરવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી રેલવેના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ભારતીય રેલવે અવાસ્તવિક અને અવ્યવહારુ ધોરણે ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે 'રેલવે બજેટ કંઇક સુધારો કરતું બજેટ છે. હું લોકપ્રિય બજેટથી દૂર રહ્યો છું પરંતુ રેલવેની આવક વધારવાની દિશામાં મેં પગલાં લીધા છે. મેં રેલવેમાં નવી ટેકનોલોજી આવે, સુરક્ષા અને સલામતી વધે તે દિશામાં કામ કર્યું છે.'
રોકાણના સંદર્ભમાં ગૌડાએ જણાવ્યું કે 'અત્યાર સુધીમાં અમે 79 કનેક્ટિવિટી દરખાસ્તો ળી છે. આ ઉપરાંત 22 દરખાસ્તો ખાનગી ફ્રેઇટ ટર્મિનલ્સ, પ્રોડક્શન યુનિટ્સ અને સાઇડિંગ અંગે મળી છે. આમ તાજેતરના સમયમાં કુલ રૂપિયા 15,000 કરોડની દરખાસ્તો મળી છે.'
રેલવે બજેટ 2014-15ની દરખાસ્તને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ પાસ કરવામાં આવી હતી. વિરોધ પક્ષો દ્વારા રેલવેમાં એફડીઆઇને ઘણું મહત્વ આપવાના વિરોધ સામે મંત્રીએ જણાવ્યું કે રેલવેના મહત્વના કામકાજમાં એફડીઆઇને મંજૂરી આપવામાં આવશે નહીં.
ગૌડાએ જણાવ્યું કે એફડીઆઇ માત્ર હાઇસ્પીડ કોરિડોર, ફ્રેઇટ કોરિડોર અને સબઅર્બન ટ્રેન્સમાં જ લાગુ કરાશે. આ દિશામાં પણ રેલવેને સારી દરખાસ્તો મળી છે.