વિશાલ સિક્કા ઇન્ફોસીસના નવા સીઇઓ અને એમડી નિમાયા
બેંગલોર, 12 જૂન : દેશની બીજા નંબરની સૌથી મોટી આઈટી સર્વિસીસ પ્રોવાઇડર કંપની ઈન્ફોસીસના એક્ઝિક્યૂટિવ ચેરમેન પદેથી એન.આર. નારાયણ મૂર્તિ આવતી 14 જૂને રાજીનામું આપવાના છે. ત્યાર બાદ વિશાલ સિક્કા નવા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર બનશે. સિક્કા SAP AGની એક્ઝિક્યૂટિવ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય છે.
આ અંગે ઈન્ફોસીસે શેરબજારની મેનેજમેન્ટને મોકલાવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે સિક્કા 1 ઓગસ્ટથી સીઈઓ તરીકેનો હોદ્દો સંભાળી લેશે. તેઓ એસ.ડી. શિબુલાલના અનુગામી બનશે. શિબુલાલ કંપનીના સ્થાપક એન્જિનિયરો પૈકી એક છે.
ઈન્ફોસીસે આ પહેલી જ વાર સીઈઓ તરીકે તેના કોઈ સ્થાપક સભ્યની પસંદગી કરી નથી. કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે 14 જૂને નારાયણ મૂર્તિની સાથે એક્ઝિક્યૂટિવ વાઈસ-ચેરમેન પદેથી એસ. ગોપાલક્રિષ્નન પણ રાજીનામું આપશે.
ભારતના 100 અબજ ડોલરના આઉટસોર્સિંગ ઉદ્યોગમાં ઈન્ફોસીસ એક ટ્રેન્ડ-સેટર બની છે. ટોચના સ્તરે અનેક એક્ઝિક્યૂટિવ્સના રાજીનામા બાદ જુનિયર સ્ટાફની કંપનીમાંથી શરૂ થયેલી હિજરતને રોકવા તેમજ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે નવા ચીફ એક્ઝિક્યૂટિવની તત્કાળ નિમણૂંક કરવાનું કંપની પર દબાણ હતું.