પુષ્ય નક્ષત્રના અવસરે જ્વેલર્સને ચાંદી જ ચાંદી
સોનુ ખરીદવાના વણજોયેલા મૂહૂર્તનો સમય મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીનો જ હોવાથી ગુજરાતમાં સવારથી જ લોકોએ પોતાના મનગમતા આભૂષણો, વિવિધ ગ્રામના સોનાના સિક્કાઓ ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોમાં ભીડ લગાવી હતી. આ અવસરે થનારા ધસારાને ધ્યાનમાં રાખીને અગ્રણી જ્વેલર્સે એડવાન્સ બૂકિંગની સ્કીમ્સ રજૂ કરી હતી, જેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ અંગે એક ગ્રાહકે જણાવ્યું કે "શુભ પ્રસંગે ભાવો અસર કરે છે પણ ગમતી વસ્તુ ખરીદતા સમયે ભાવને પ્રાથમિકતા આપવામાં આવતી નથી."
અમદાવાદના એક જાણીતી શૉરૂમના માલિક કૈલાસ શર્માએ જણાવ્યું કે "સોનાના ભાવને ધ્યાનમાં રાખીને મોટા ભાગના ગ્રાહકો બે લાખથી નીચેની ખરીદીમાં વધારે રસ બતાવી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતી હોવાથી કોઇ પણ વ્યક્તિ 2.5 લાખની રોકડ કરતા વધુના વ્યવહાર કરી શકે એમ નહીં હોવાથી મોટી ખરીદી પર થોડી બ્રેક લાગી છે.