કોટક મહિન્દ્રા અને આઇએનજી વૈશ્યના વિલયને મંજુરીથી શેર્સમાં તેજી
મુંબઇ, 8 જાન્યુઆરી : બોર્ડ બેઠકમાં કોટક મહિન્દ્રાને બેંગલોર સ્થિત કંપની આઇએનજી વૈશ્યમાં વિલય કરી દેવાના ઠરાવને મંજુરી મળતા જ બંને કંપનીઓના શેર્સમાં આજે ગુરુવારે તેજી જોવા મળી છે.
આ વિલય બાદ કોટક મહિન્દ્રા બેંક ભારતની ચોથી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર લેન્ડર બેંક બની જશે. આત્યારે ભારતમાં આઇસીઆઇસીઆઇ બેંક પ્રથમ ક્રમે, એચડીએફસી બેંક બીજા ક્રમે અને એક્સિસ બેંક ત્રીજા ક્રમે છે.
બેંકે બીએસઇને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'કેટક મહિન્દ્રા બેંક લિમિટેડની એક ખાસ સામાન્ય સભા 7 જાન્યુઆરી, 2015ના રોજ મુંબઇ ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં શેર હોલ્ડર્સ પાસેથી આઇએનજી વૈશ્યના વિલય માટે મંજુરી માંગવામાં આવી હતી.તેમાં શેર રેશિયો 725નો રહેશે. આઇએનજી વૈશ્યના પ્રતિ 1000 શેર પર કોટકના 725 શેર્સ મળશે.'
આ ઠરાવને 99.93 ટકા હાજર સભ્યોમાંથી 99.30 ટકા સભ્યોએ મંજુરી આપી હતી. હવે આ વિલયને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજુરી મેળવવાની બાકી છે. આ ઉપરાંત કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) દ્વારા પણ મંજુરી મળવાની બાકી છે.
આ મંજુરીને પગલે કોટક મહિન્દ્રા બેંકના શેર 2.77 ટકા વધીને રૂપિયા 1305.95ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યા હતા. જ્યારે આઇએનજી વૈશ્યના શેર્સમાં 3.10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએસઇમાં તેનો શેર રૂપિયા 905.50ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.
જો કે કોટક મહિન્દ્રા બેન્ક સાથેના મર્જર પછી જોબ સિક્યોરિટીને માંગને લઇને આઈએનજી વૈશ્ય બેન્કના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. આઈએનજી વૈશ્ય બેન્ક દ્વારા આ મર્જર માટે શૅરહોલ્ડર્સની મંજૂરી મેળવવા માટે જે દિવસે બેઠક બોલાવાઇ હતી તે જ દિવસે આઈએનજી વૈશ્ય બેન્કના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.
સાથે કેટલાક શૅરહોલ્ડર્સ દ્વારા મર્જર માટેના સ્વેપ રેશિયો પર ચિંતા વ્યક્ત કરી તેનો વિરોધ કર્યો હતો. આઈએનજી વૈશ્ય બેન્કના યુનિયન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કોટક મહિન્દ્રા બેન્કના અધિકારીઓ દ્વારા જોબ સિક્યોરીટી માટે હજી સુધી કોઇ પણ વાત કરવામાં આવી ન હતી અને આ વિશે જલ્દીથી જ ત્રિપક્ષીય બેઠક કરી ચોખવટ કરવામાં આવવી જોઇએ.