LIC 30 સપ્ટેમ્બરથી 45 ઇન્વેસ્ટમેન્ટ પોલીસી બંધ કરશે
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : લાઇફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી - LIC) 30મી સપ્ટેમ્બર, 2013થી એક સાથે તેની 45 ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ બંધ કરવા જઇ રહી છે. આ પોલીસીઓ તે પાછી ખેંચશે. આ નિર્ણય તેણે ઇરડાના આદેશના અમલને અનુસરવા માટે લીધો છે.
ભારતમાં વીમા નિયામક 'ઇરડા' (ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી - IRDA)એ LICને એક મહિનાનાં સમયગાળામાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત તમામ પોલિસીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્દેશને અનુસરતા એલઆઇસીએ 30મી સપ્ટેમ્બરથી પોતાની બાવન પોલિસીઓમાંથી 45ને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. આ સાથે કંપનીની ઇન્વેસ્ટમેન્ટ પોલિસીની સંખ્યા ઘટીને માત્ર 7 રહી જશે.
આ સાથે એવી શક્યતા છે કે એલઆઇસી નજીકના ભવિષ્યમાં નવી ચારથી પાંચ પોલિસી જાહેર કરી શકે છે. આ પોલીસીઓ નવા ધોરણો મુજબ હશે. પહેલી ઓકટોબરથી એલઆઇસીના પોર્ટફોલિયામાં પોલિસીઓની સંખ્યા બાવનથી ઘટી સીધી 7 થઇ જશે. આવતાં મહિનાથી અમારી પાસે 10 જેટલી પ્રોડકટ હશે તેમ એલઆઇસીના સિનિયર ડિવિઝન મેનેજર અજય કુમારે જણાવ્યું હતું.
અહીં એલઆઇસીના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે LICની વીમા પેન્શન યોજનાઓ અને યુનિટ લીંકડ ઇન્શ્યુરન્સ પ્લાન્સ (યુએલઆઇપી) અગાઉની જેમ યથાવત રહેશે. વર્તમાન સમયમાં જે પોલિસી ધારકો છે તેઓ 30મી સપ્ટેમ્બર બાદ આ સેવા મેળવી શકશે પરંતુ તે રિન્યુવલ પૂરતી હશે. નવા અરજદારો માટે તે ઉપલબ્ધ નહીં થાય.
વીમા નિયામક 'ઇરડા'એ નવી પોલિસીઓ માટે બે મૂળભૂત શરતોનું પાલન થાય તે જરૂરી બનાવ્યું છે. એક ગ્રાહકે તે જે પોલિસી ધરાવે છે તેનાં પર 3.09 ટકા સર્વિસ ટેકસ ચૂકવવો પડશે. બીજુ દરેક પ્રોડકટનું ફોકસ ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિસ્ક કવરેજ પર કેન્દ્રિત હોવુ જોઇએ. આમ આ કારણોથી અમે 45 પોલિસીઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇરડાના નવા ધોરણો લોકોને સીધી અસર કરશે. 'વીમા બચત' જેવી લોકપ્રિય પોલિસી હવે વધુ સમય અસ્તિત્વમાં નહીં રહે. એલઆઇસીની લોકપ્રિય પોલીસીઓ જેવી કે જીવન સરળ, જીવન આનંદ, જીવન તરંગ, જીવન શ્રી અને બીમા નિવેશ જેવી પોલિસીઓ નીકળી જશે. હવે જે નવી પોલિસીઓ આવશે તે ઇરડાના નવા માપદંડો અનુસાર હશે.