નરેન્દ્ર મોદી સરકાર ડૉક્ટર્સ, વકીલો, સીએ સહિતના પ્રોફેશનલ્સને કર રાહત આપશે
નવી દિલ્હી, 10 જાન્યુઆરી : દેશમાં કર સુધારાના રસ્તે આગળ વધી રહેલી મોદી સરકાર હવે ઇન્કમ ટેક્સના નિયમોને પણ સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત સરકારે ડૉકટર્સ, વકીલો, સીએ અને અન્ય પ્રોફેશ્નલોને રાહત આપવાનો વિચાર કર્યો છે.
સરકારે ઇન્કમ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે સંબંધિત વ્યકિતઓ અને નાગરિકો પાસે સૂચનો મંગાવ્યા છે. આ સૂચનોને આગામી બજેટમાં સામેલ કરવામાં આવશે.
નોંધનીય છે કે વકીલ, ડોકટર, એન્જીનીયરીંગ સેવા પ્રદાન કરતા પ્રોફેશ્નલો, બ્યુટીશ્યન, કંપની સચિવ અને આ પ્રકારની વ્યવસાયિક સેવાઓ ઉપલબ્ધ કરાવતી વ્યકિતઓને આવકની ગણતરી આયકર કાનૂનની કલમ 145ની પેટા કલમ-1 હેઠળ અથવા તો કેશ સિસ્ટમના આધાર પર કે પછી મર્કન્ટાઇલ સિસ્ટમ ઓફ એકાઉન્ટીંગના આધાર પર આપવામાં આવે તેવી શકયતા છે.
પ્રોફેશનલ્સ માટેની વિવિધ ટેક્સ ભરપાઇની વિવિધ પદ્ધતિઓ મુજબ કેશ સિસ્ટમમાં પ્રદાન કરાતી સેવાઓના બદલામાં જે ચુકવણું થયું તેના પર કર ચુકવવામાં આવે છે.
મર્કેન્ટાઇલ સિસ્ટમ હેઠળ સેવા આપ્યા બાદ જો બિલ મોકલવામાં આવ્યુ હોય તો આયકર વિભાગ તેના પર કર માંગે છે. તેમાં ચુકવણું થયુ છે કે નહી જોવાતું નથી. તેને કારોબારની ભાષામાં એક્રુઅલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે.
નોંધનીય છે કે પ્રોફેશ્નલોની જુની માંગણી છે કે તેમાં સુધારો કરવામાં આવે. નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે આયકર કાનૂનની કલમ 145માં જ કોમ્પ્યુટેશન અને ડિસ્કલોઝર સ્ટાન્ડર્ડને અધિસુચિત કરવાની જોગવાઇ છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી સરકારમાં નાણામંત્રી બન્યા બાદ જેટલીએ અગાઉ આવેલા સૂચનોના આધાર પર 12 આઇસીડીએસ મુસદ્દાને ફરીથી તૈયાર કરાવ્યો અને તે પછી નક્કી કર્યુ કે આ મુસદ્દા પર તમામ ભાગીદારો અને સામાન્ય લોકોના પ્રતિભાવો મંગાવવામાં આવે.