નરેન્દ્ર મોદી સરકાર માર્ચ 2015 સુધીમાં ETF મારફતે રૂપિયા 5000 કરોડ ઉભા કરશે
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઇટીસી, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંક જેવી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને અંદાજે રૂપિયા 5,000 કરોડનું ફંડ ઉભું કરવા માંગે છે. દેશના નીતિધડવૈયાઓના આ નિર્ણય અંગેની વાત આ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી હતી.
આ વેચાણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Exchange-Traded Fund - ETF - ઇટીએફ) દ્વારા કરવામાં આવશે. આ ફંડ માર્ચ 2015 પહેલા રજૂ કરવામાં આવશે. આ ફંડ ઉભું કરવા માટે સરકાર 10 કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચશે.
નોંધનીય છે કે આઇટીસીમાં સરકાર 11.27 ટકા , લાર્સન એન્ડ ટુબ્રોમાં 8.18 ટકા અને એક્સિસ બેંકમાં 11.66 ટકા હિસ્સો ધરાવે છે. નોંધનીય છે કે ગયા મહિને ફાઇનાન્સ સેક્રેટરી અરવિંદ માયારામે જણાવ્યું હતું કે સરકાર ઇટીએફ દ્વારા શેર વેચીને ભંડોળ ઉભું કરવા માંગે છે.
આ વર્ષના પ્રારંભમાં સરકારે એક્સિસ બેંકમાંથી પોતાનો 9 ટકા હિસ્સો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને વેચવા કાઢ્યો હતો. નોંધનીય છે કે નવી સરકારની રચના બાદ જુલાઇમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ વિવિધ પ્રકારની કંપનીઓમાંથી પોતાના હિસ્સાનું વેચાણ કરીને રૂપિયા 58,425 કરોડની રકમ એકત્ર કરવાની વાત કરી હતી. આ પહેલા માર્ચમાં પણ સરકારે 10 કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને રૂપિયા 4,400 કરોડ એકઠા કર્યા હતા.