પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન NRIs હેરિટેજ બિલ્ડિંગ્સમાં રોકાણ કરી શકે
અમદાવાદ, 3 જાન્યુઆરી : ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઇ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત 2015 અને પ્રવાસી ભારતીય દિવસનો લાભ અમદાવાદના હેરિટેજ બિલ્ડિંગ્સને પણ મળે એવી ઉજળી શક્યતાઓ છે. વાસ્તવમાં આ બંને કાર્યક્રમોમાં હાજરી આપવા આવનારા એનઆરઆઇસ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ અમદાવાદના હેરિટેજ બિલ્ડિંગ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ કારણે તેનો સીધો લાભ અમદાવાદના પ્રોપર્ટી માર્કેટને મળશે.
મહત્વની બાબત એ છે કે અમદાવાદના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદ શહેરમાં આવેલી મોટા ભાગની હેરિટેજ બિલ્ડિંગ્સને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એનઆરઆઇસ કે પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ આ બિલ્ડિંગની જાળવણી માટે તેમાં રોકાણ કરવાને બદલે તેને પ્રોફિટ મેકિંગ સેન્ટર્સ તરીકે ડેવલપ કરવાની ઇચ્છા રાખે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં આ હેરિટેજ બિલ્ડિંગ ખરીદાયા બાદ તેમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ કે દુકાન શરૂ કરવામાં આવે છે. આ ટ્રેન્ડે છેલ્લા 5 વર્ષમાં વધારે વેગ પકડ્યો છે. જે અંતર્ગત કેન્યાના નૈરોબીમાં રહેતા ચંદ્રકાંત ડોરિયાએ 150 વર્ષ જુની સુનીલભાઇની હવેલી રૂપિયા 80 લાખમાં ખરીદી છે. તેઓ અહીં રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બનાવવા માંગે છે.
એવી જ રીતે એક ખાનગી રોકાણકાર ચેતન આર શાહે 2012માં બીડી આર્ટ્સ કોલેજ એન્ડ હોમ સાયન્સ કેમ્પસ રૂપિયા 15 કરોડમાં ખરીદ્યું હતું. તેઓ ત્યાં ફુલ્લી એરકન્ડિશન્ડ સોના ચાંદીનું માર્કેટ બનાવવા માંગે છે. જ્યાં માણેકચોકમાં બેસતા સોનીઓ પોતાની દુકાનો શરૂ કરી શકશે. આ માટે તેઓ 5 માળનું અને 150 દુકાનો ધરાવતું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું છે.
પ્રવાસી ભારતીય દિવસમાં આવતા પ્રવાસીઓ હેરિટેજ વૉક અને હેરિટેજ સ્ટે કરી શકે તેવા આશયથી પણ હવે હેરિટેજ બિલ્ડિંગ્સને હેરિટેજ હોટેલ્સમાં ફેરવવામાં આવી રહ્યા છે.