NSEL સ્કેમ : દોષિત કંપનીઓના બે અધિકારીઓની ધરપકડ
મુંબઇ, 22 ઓક્ટોબર : આજે મુંબઇ પોલીસે એનએસઇએલ (NSEL) કૌભાંડના કેસમાં વિવિધ ડિફોલ્ટિંગ કંપનીઓના ટોચના બે અધિકારીઓની ધરપકડ કરી હતી.
આ કંપનીઓએ એનએસઇએલને અંદાજે રૂપિયા 1000 કરોડને ચૂકવવાના થાય છે. આ ધરપકડના સંદર્ભમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે એનએસઇએલ કેસમાં યાધુરી એસોસિયેટ્સના ડિરેક્ટર ગગન સુરીની ચંદીગઢમાં, જ્યારે પી ડી એગ્રો પ્રોસેસર્સના પ્રમોટર રાજીવ અગ્રવાલની કર્નાલ (હરિયાણા)માંથી ધરપકડ કરવામાં આવી છે.
આ બંને અધિકારીઓ સમન્સ હોવા છતાં હાજર થતા ન હતા. બંને અધિકારીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરીની કંપનીએ રૂપિયા 424 કરોડ ચૂકવવાના બાકી છે, જ્યારે અગ્રવાલની કંપનીએ રૂપિયા 644 કરોડનો ડિફોલ્ટ કર્યો છે.
આ બંને કંપનીઓની મિલકતોને અગાઉ જપ્ત કરવામાં આવેલી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એનએસઇએલના રૂપિયા 5,600 કરોડના કૌભાંડમાં અત્યાર સુધી આશરે રૂપિયા 6,000 કરોડની મિલકતો જપ્ત કરી છે.