2 અબજ ડોલરના મૂડીરોકાણનું વચન આપી ગયા ઓબામા
નવી દિલ્હી, 27 જાન્યુઆરી : આ વખતનો ગણતંત્ર દિવસ પર સમગ્ર દુનિયાની નજર રહી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની અત્રે વિશેષ હાજરી હતી. પરંતુ મોદીનું ઓબામાને આમંત્રણ શું વ્યાપાર ક્ષેત્રે રંગ લાવશે? અમેરિકાએ ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 2 અબજ ડોલરના મૂડીરોકાણ સાથે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરશે એવું વચન આપ્યું છે. જેના ભાગરૂપે અમેરિકા આ વર્ષે જ એક ટીમને ભારત મોકલવાની છે.
સોમવારે ઈન્ડિયા-યુએસ સીઈઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાના ઉદ્યોગપતિઓને મેક ઇન ઈન્ડિયાનું આમંત્રણ આપ્યું હતું. મોદી અને ઓબામાએ બાદમાં બિઝનેસ સમિટને સંબોધન કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સોમવારે ઈન્ડિયા-યુએસ સીઈઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાક્યા ન્હોતા. ઓબામાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે સ્વચ્છ ઊર્જા પૂરતા પ્રયાસો શરૂ કર્યા છે, તેમના આ જોશથી દેશનો વ્યાપાર ચોક્કસ વધશે અને આર્થિક વિકાસ દરમાં પણ હકારાત્મક પરિવર્તન જોવા મળશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે એવી નીતિઓ લાવવી જોઈએ કે જેના થકી વધુને વધુ મૂડીરોકાણ આકર્ષી શકાય. મૂડીરોકાણના પ્રવાહને ખેંચવા માટે સ્થિરતા એક મહત્વપૂર્ણ પાસું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રે ભારે રોકાણથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે.
બરાક ઓબામાએ મોદીના સ્વચ્છતા અભિયાનના પણ વખાણ કરતા જણાવ્યું હતું કે, યુએસ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેવલમેન્ટ એજન્સીમાં ભારત રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે 2 અબજ ડોલર આપશે. ઓબામાએ એવું પણ જણાવ્યું કે મોદીએ હાથમાં ઝાડૂ પકડીને મને પણ પ્રેરણા આપી છે, હું પણ અમેરિકામાં મારા અધિકારીઓ સાથે જઇને સફાઇ અભિયાનમાં જોડાઇશ.