પેટ્રોલ મંત્રાલયનો સિલિન્ડર 250 રૂપિયા, કેરોસિન 5 રૂપિયા મોંઘુ કરવાનો પ્રસ્તાવ
નવી દિલ્હી, 4 જુલાઇ : દેશમાં મોંઘવારી ઘટાડવાના વાયદા કરીને સત્તામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આગામી દિવસોમાં લોકોને મોંઘવારી બાબતે વધુ એક ઝાટકો આપી શકે છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સરકરા ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરો અને કેરોસિનની કિંમતમાં વધારો કરી શકે છે.
સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂપિયા 250, કેરોસિનની કિંમતોમાં રૂપિયા 5નો વધારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. જ્યારે ડિઝલની કિંમતમાં દર મહિને 50 પૈસાનો વધારો કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે.
પેટ્રોલિયમ સબસિડીને મીનિમાઇઝ કરવા અને પેટ્રોલિયમ પ્રાઇસ રિવાઇઝ કરવાના હેતુથી બનેલી પારેખ કમિટીએ કિંમત વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય કિંમતો વધારવા માટે તૈયાર પણ છે. ઓઇલ અને પેટ્રોલિયમ સેક્ટરમાં રિફોર્મ માટે તૈયાર પેટ્રોલિયમ મંત્રાલય ચાહે છે કે પારેખ કમિટીની આ દરખાસ્ત પર કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ (સીસીપીએ - CCPA)માં ચર્ચા થાય.
સૂત્રોનું કહેવું છે કે પેટ્રોલિયમ મંત્રાલય આ માટે સીસીપીએમાં ચર્ચા કરવા માટે એક ડ્રાફ્ટ પણ તૈયાર કરી રહ્યું છે. મંત્રાલય ઇચ્છે છે કે સીસીપીએ પરિખ કમિટીની દરખાસ્તોને પોતાની સહમતિ આપી દે. આ સમગ્ર કવાયત ડીઝલ, પેટ્રોલ, કેરોસિન અને સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને ખતમ કરવા માટે છે. વર્તમાન સમયમાં સરકાર સિલિન્ડર પર રૂપિયા 508 સબસિડી આપી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આગામી બજેટમાં સામાન્ય લોકોને રાહત આપવાના મૂડમાં નથી. નાણા મંત્રાલય પોતાની આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલ પર રોડ સેસ લગાવવા ઇચ્છે છે. આ અંગેની દરખાસ્ત પણ સીએમઓમાં મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમઓએ સૈદ્ધાંતિક રીતે પોતાની મંજૂરી આપી પણ દીધી છે.
નોંધનીય છે કે અગાઉ વાજપેયી સરકારે પણ સેસ લગાવી હતી. તેમણે પેટ્રોલ પર 2 રૂપિયા અને ડીઝલ પર 1 રૂપિયો સેસ લગાવી હતી. બાદમાં રોડ સેસ અડધી પણ કરવામાં આવી હતી.