અન્ય બેંકમાંથી ATM ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચથી ઘટીને બે થઇ
મુંબઇ, 2 ઓગસ્ટ: હવેથી આપનું ખાતું જે બેંકમાં હોય તે બેંક સિવાયના એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ બનવા જઇ રહ્યું છે. બીજી બેંકોના એટીએમમાંથી દર મહિને નિ:શુલ્ક ઉપાડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડીને હવે માત્ર બે વારકરી દેવામાં આવશે. જો કે નવો નિયમ ક્યારથી અમલી બનશે તે અંગે કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રામીણ વિસ્તારોમાં અગાઉના નિયમોને ચાલુ રાખવાના નિર્દેશો આપ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં નવો નિયમ લાગુ પડશે. ગ્રામીણ વિસ્તારોમાં એટીએમ ધારકોને નજીકના એટીએમ વિશે માહિતી આપવાનો નિર્દેશ પણ RBIએ કર્યો છે.
હવે અન્ય બેંકના એટીએમમાંથી બે વારથી વધુ વાર રૂપિયા ઉપાડવાના વ્યવહાર પર પ્રતિ વ્યવહાર 20 રૂપિયાથી વધુનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. જ્યારે બિન નાણાકીય વ્યવહાર માટે રૂપિયા 9 ચાર્જ વસૂલ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી અન્ય બેંકોના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા ઘટાડવાની માગ કરી રહ્યા હતી. આ સાથે બેંકો એવું પણ ઈચ્છતી હતી કે પાંચથી વધુ વાર એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લેવાતો ચાર્જ પણ વધવો જોઈએ.
બેંકોની દલીલ છે કે અન્ય બેંકોના એટીએમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. એટીએમ ધારકો વધુમાં વધુ રૂપિયા કાઢે છે. આથી બેંકોને નુકસાન જાય છે. બેંકોની એવી પણ દલીલ છે કે સિક્યૂરિટીના નવા નિયમોને લઈને આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાને કારણે પણ તેમનો ખર્ચ વધી ગયો છે. જેની ભરપાઈ તેઓ આ રીતે કરવા માંગે છે.
હાલમાં અન્ય બેંક એટીએમમાંથી રૂપિયાના ઉપાડ પર પ્રતિ ટ્રાન્ઝિક્શન 15 રૂપિયાનો ચાર્જ લાગતો હતો. નોંધનીય છે કે વર્ષ 2009માં અન્ય બેંકોના એટીએમના ઉપયોગને તદ્દન ફ્રી કરી દેવાયો હતો. બાદમાં બંકોના કહેવાથી મહિને માત્ર 5 ફ્રી ટ્રાન્ઝિક્શન માન્ય રખાયા હતા.