મંત્રાલયો અને વિભાગોને બિઝનેસ વાતાવરણ સુધારવા PM મોદીની સૂચના
નવી દિલ્હી, 26 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે 'સુશાસન દિવસ' એટલે કે 'Good Governance Day'ની ઉજવણીનો આરંભ કરાવવાની સાથે જ વિવિધ મંત્રાલયો અને વિભાગોને તાકીદની સૂચના આપી દીધી છે કે ભારતમાં બિઝનેસ કરવા માટેનું વાતાવરણ સુધારવામાં આવે. આ માટે વડાપ્રધાને માત્ર 3 મહિનાનો સમય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેંકે થોડા દિવસ પહેલા બિઝનેસ કરવાની સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ)ના માપદંડમાં ભારતને 189 દેશમાં 142મું સ્થાન આપ્યું છે, જે ગયા વર્ષની તુલનામાં બે ક્રમ નીચું છે. આ બાબતે નરેન્દ્ર મોદીને વધારે ઝડપી અને અસરદાર કામ આપવા માટે મજબુર કર્યા છે. આ સંદર્ભમાં વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી ન્રિપેન્દ્ર મિશ્રાએ ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ ઉપર લાવવા પર ખાસ ભાર મૂક્યો છે.
વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં સરકાર બિઝનેસની નોંધણી એક જ દિવસમાં શક્ય બનાવવા માટે કામ કરી રહી છે. આ સિવાય સરકાર ઉદ્યોગો માટે પર્યાવરણ સંબંધીની મંજુરીઓ ઓનલાઇન મળી જાય અને સરકારની પરવાનગી વગર એરપોર્ટ ઝોન્સની બહાર બાંધકામને લીલી ઝંડી આપવાની યોજના છે.
નરેન્દ્ર મોદી સરકાર આગામી 31 માર્ચ સુધીમાં બે દેશો વચ્ચે વ્યાપાર માટે દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના છે. ગૂડ્ઝને 12 કલાકથી ઓછા સમયમાં મંજૂરી આપવા સરકાર સક્રિય છે. કોન્ટ્રાક્ટ સંબંધી વિવાદો માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે.
વડાપ્રધાન રોકાણના સ્થળ તરીકે ભારતની છબી સુધારવા સક્રિય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP)એ 31 માર્ચ સુધી નિયમન સંબંધી, વહીવટી અને કંપનીઓ માટે બોજારૂપ પ્રક્રિયામાં ઘટાડો કરવાની માર્ગરેખા તૈયાર કરી છે.
'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇબિઝ પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન'ના અમુક પગલાં માટે જ મુદત થોડી મોડી 30 એપ્રિલની નિર્ધારિત કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયે સંબંધિત મંત્રાલય અને વિભાગોને તેમને સોંપાયેલી જવાબદારોના અમલમાં ઝડપ લાવવા જણાવી દીધું છે.
ભારત સરકારે વિશ્વ બેન્કની આગામી સમીક્ષામાં તાજેતરના પગલાંની અસર જોવા મળે એ માટે સરકાર ઝડપી અમલ માટે સક્રિય બની છે. ડીઆઇપીપીના શિડ્યુલમાં દરેક પગલાંની જવાબદારી, અમલીકરણની પ્રગતિ, બાકી પગલાં અને સમગ્ર પ્રક્રિયાની પૂર્ણ થવાની મુદત નિર્ધારિત કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટના અમલીકરણની બાબતમાં ભારતનું પ્રદર્શન વધુ ખરાબ છે અને આ મુદ્દે ભારત માત્ર અંગોલા, બાંગ્લાદેશ અને તિમોર કરતાં જ આગળ (186માં ક્રમે) છે. આ બાબત વિવાદોના ઉકેલની અયોગ્ય વ્યવસ્થા સૂચવે છે. જેને લીધે કોન્ટ્રાક્ટમાં વિશ્વાસ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ સૌથી મહત્ત્વની બાબત છે.
આ સ્થિતિમાં સુધારો કરવા ડીઆઇપીપીએ કાયદા મંત્રાલયને ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સ બનાવવાની ભલામણ કરી છે. ઉપરાંત, કોન્ટ્રાક્ટ સંબંધી વિવાદોમાં લવાદ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના વિકલ્પો અને નિર્ધારિત સમયમાં ઉકેલની પ્રક્રિયા અમલી બનાવવાની વિચારણા ચાલી રહી છે. ડીઆઇપીપીએ તમામ પગલાં પૂરા કરવા 30 એપ્રિલની મુદત નિર્ધારિત કરી છે.