બેંકિંગ સુધારા હેઠળ PSU બેંકોને હોલ્ડિંગ કંપની રચવાનું કહેવામાં આવી શકે
નવી દિલ્હી, 5 જાન્યુઆરી : બેંકિગ ક્ષેત્ર ખાસ કરીને સરકારી ક્ષેત્રની બેંકોની સુધારણા માટે તાજેતરમાં પુનામાં યોજાઇ ગયેલી જ્ઞાન સંગમ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંથી એક સૂચન પર ટૂંક સમયમાં અમલીકરણ થઇ શકે છે. આ સૂચન અનુસાર પીએસયુ બેંકોને હોલ્ડિંગ કંપની રચવાની વાત કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સરકાર બેંકિંગ સુધારા કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોને પોતપોતાની અલગ હોલ્ડિંગ કંપનીઓ રચવા માટે જણાવવા વિચારે છે. તેમાં જે તે બેન્ક તથા તેમની વિવિધ પેટાકંપનીઓના હિસ્સાને સમાવવામાં આવશે. બેન્કોમાં મૂળભૂત સુધારા તરફનું આ પ્રથમ કદમ હશે જેના અંતે રાષ્ટ્રીયકૃત બેન્કિંગ સેક્ટરને બહુમતી સરકારી અંકુશમાંથી મુક્ત કરવામાં આવશે.
આ અંગે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર દરેક બેન્ક માટે અલગ હોલ્ડિંગ કંપની રચ્યા બાદ બેન્ક ઇન્વેસ્ટમેન્ટ કમિટીની રચના કરવામાં આવશે જે એક પ્રકારની સુપર હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે અને વિવિધ વ્યક્તિગત હોલ્ડિંગ કંપનીઓ પર નિયંત્રણ રાખશે. તેનાથી લાંબા ગાળે આ બેન્કોમાં સરકારનો હિસ્સો 51 ટકાથી નીચે જશે.
બેન્કોના વડાઓ ઘણા સમયથી સરકારી માલિકીની બેન્કિંગ સિસ્ટમમાં સરકારની માલિકીની ફ્લોર નીચે લાવવા માંગણી કરી રહ્યા છે. તાજેતરમાં પૂણે ખાતે બેન્કર્સના જ્ઞાન સંગમમાં આ મુદ્દો ઉઠાવાયો હતો.
બેન્કરો અને અન્ય નિષ્ણાતોની દલીલ છે કે અત્યારના સમયમાં પીએસબી (જાહેર ક્ષેત્રની બેન્કો)માં લઘુતમ 51 ટકા સરકારી માલિકીની જોગવાઈ ન હોવી જોઈએ કારણ કે સરકારની નાણાકીય સ્થિતિ પહેલેથી ખેંચાયેલી છે અને તે વધારે મૂડી ઉમેરી શકે તેમ નથી. બેન્કિંગ સેક્ટર માટેના સુધારાની ભલામણમાં એક હોલ્ડિંગ કંપની રચવાનો સમાવેશ થાય છે જે તમામ બેન્કોમાં સરકારનો હિસ્સો ધરાવશે.
સરકારે દરેક બેન્ક માટે અલગ હોલ્ડિંગ કંપની રચવાનો વિચાર કર્યો છે. તેના પરથી એવું લાગે છે કે બધી બેન્કોને આવરી લેતી એક હોલ્ડિંગ કંપની રચવાનો વિચાર પડતો મૂકશે.