ફરી વધી શકે છે રેલવે ભાડું, રેલમંત્રીએ આપ્યો સંકેત
રેલમંત્રીએ એવા સંકેત આપ્યા છે કે ફરીથી રેલવે ભાડામાં વધારો થઇ શકે છે. રેલમંત્રી પવન કુમારે ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તેમને રેલવેના ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.
15 દિવસમાં બીજી વખત રેલવે ભાડામાં વધારાના મુદ્દે રેલમંત્રીએ જણાવ્યું કે નુકસાનની ભરપાઇ માટે વધારો કરવો જરૂરી છે. રેલમંત્રી પવન બંસલે જણાવ્યું કે હાલમાં વધેલા ભાડાના કારણે રેલવેને એક વર્ષમાં 6600 કરોડની આવક થશે પરંતુ ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે રેલવે વિભાગના માત્ર 3300 કરોડ રૂપિયા ડીઝલની ખરીદી કરવામાં જતા રહેશે. આવી પરિસ્થિતિમાં ભાડુ વધારવા ઉપરાંત તેમની પાસે અન્ય કોઇ રસ્તો નથી.
તેમણે જણાવ્યું કે રેલવેના જૂના પ્રોજેક્ટોને પૂરા કરવા અને નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે રૂપિયાની જરૂર પડશે જેને માત્ર પ્રવાસી ભાડામાં વધારો કરીને જ મેળવી શકાય છે. પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા રેલમંત્રીએ જણાવ્યું કે ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 45 પૈસાનો વધારો કર્યો છે અને પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલીએ સંકેત આપ્યા છે કે દરેક મહિને કિંમતોમાં 40-50 પૈસાનો વધારો થશે.
આવામાં રેલવેને નુકસાનમાંથી બચાવવા માટે ભાડામાં વધારો કરવો જરૂરી બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે 9 જાન્યુઆરીના રોજ રેલવેના બધી જ શ્રેણીના ભાડામાં વધારો કર્યો હતો જે 21 જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે.