કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ RBIના ડેપ્યૂટી ગવર્નરે રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડેપ્યૂટી ગવર્નર તરીકે તેમનો 6 મહિનાનો કાર્યકાળ બાકી રહ્યો હતો પરંતુ તેની પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરલ આછાર્ય આગામી વર્ષને બદલે આ વર્ષે ઓગસ્ટમાં જ ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે પરત ફરી રહ્યા છે. આ રિપોર્ટ પર આરબીઆઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
7 મહિનામાં આ બીજીવાર બન્યું છે જ્યારે રિઝર્વ બેંકના કોઈ ઉચ્ચ અધિકારી પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ પદથી રાજીનામું આપી દીધું. અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોનો હવાલો આપતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ડિસેમ્બર 2016માં ભારતીય રિઝર્વ બેંકે વિરલ આચાર્યને ત્રણ વર્ષ માટે ડેપ્યૂટી ગવર્નરના પદ માટે ચૂંટ્યા હતા. વિરલ આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા છે. તેઓ સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં ભણી ચૂક્યા છે. અગાઉ આચાર્ય લંડન બિઝનેસ સ્કૂલથી પ્રાઈવેટ ઈક્વિટી ઈંસ્ટીટ્યૂટના ફાઈનાન્સ એન્ડ એકેડમી ડિરેક્ટર હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરલ આચાર્યએ 6 જૂને આયોજિત રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની અંતિમ બેઠક પહેલા પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જ્યારે રિઝર્વ બેકે આ રિપોર્ટની ન તો પુષ્ટિ કરી છે કે ન તો ખંડન કર્યું છે.
2014માં વિરલ આચાર્ય સેબી અંતર્ગત એકેડમિક કાઉન્સિલ ઑફ ધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ્સના સભ્ય પણ રહ્યા છે. તેમણે 1995માં આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાઈન્સ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી 2001માં ફાઈનાન્સમાં પીએચડી પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત વિરલ આચાર્ય પાસે બેંક ઑફ ઈંગ્લેન્ડમાં પણ કામ કરવાનો અનુભવ છે.
કેબિનેટની મહત્વની બેઠક આજે, NIAને વધુ શક્તિશાળી બનાવવાની કોશિશ