હોટલ-રેસ્ટોરાંવાળા હવે નહિ વસૂલી શકે સર્વિસ ચાર્જ
જો તમે પણ હોટલ અને રેસ્ટોરાંમાં વારંવાર જતા હોવ તો તમારે પણ બીજા ટેક્સની સાથે સર્વિસ ટેક્સ પણ આપવો પડે છે. પરંતુ હવે સર્વિસ ચાર્જ આપવો કે નહિ તે તમારી ઇચ્છા પર નિર્ભર કરશે...
જો તમે પણ હોટલ અને રેસ્ટોરાંમાં વારંવાર જતા હોવ તો તમારે પણ બીજા ટેક્સની સાથે સર્વિસ ટેક્સ પણ આપવો પડે છે. પરંતુ હવે સર્વિસ ચાર્જ આપવો કે નહિ તે તમારી ઇચ્છા પર નિર્ભર કરશે. આ બાબતે સરકાર તરફથી સ્પષ્ટીકરણ જારી કરતા કહેવામાં આવ્યુ છે કે હોટલ અને રેસ્ટોરાંની અંદર કોઇ પણ ગ્રાહક પાસેથી જોર જબરદસ્તીથી સર્વિસ ચાર્જ વસૂલી શકાશે નહિ.
મંત્રાલયે બધા રાજ્યોને આ બાબતે નિર્દેશ જારી કરતા કહ્યુ છે કે તે કંપનીઓ, હોટલો અને રેસ્ટોરાંને આ બાબતે સૂચિત કરી દે. તમને જણાવી દઇએ કે હાલમાં ગ્રાહકની મરજી વિરુદ્ધ સર્વિસ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. મંત્રાલયે આ અંગે ફરિયાદો મળતા સ્પષ્ટીકરણ જારી કરી દીધુ. મંત્રાલય તરફથી જારી કરાયેલ સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઇ હોટલ અને રેસ્ટોરાંમાં બિલમાં બધા ટેક્સ જોડ્યા બાદ જો સર્વિસ ચાર્જ લગાવવામાં આવ્યો હોય તો તેને ચૂકવવો ગ્રાહક માટે વૈકલ્પિક રહેશે.
આનો સીધો અર્થ એ છે કે ગ્રાહક ઉપર નિર્ભર કરશે કે તે જો સર્વિસથી ખુશ છે તો સર્વિસ ચાર્જ આપશે અથવા મનાઇ પણ કરી શકે. સર્વિસ ચાર્જની ચૂકવણી માટે હોટલ, રેસ્ટોરાં અથવા અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવનાર લોકો ગ્રાહક પર કોઇ પણ પ્રકારનું દબાણ કરી શકશે નહિ. મંત્રાલયે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે હોટલો અને રેસ્ટોરાંઓને કહે કે તે ઉચિત જ્ગ્યાઓ પર આની જાણકારી ચીપકાવી દે.