સ્વીસ બેંકે 4 ભારતીયોને વહેલીતકે પૈસા ઉપાડી લેવા કહ્યું
મુંબઇ, 23 ઓક્ટોબર : કાળા નાણાના રોકાણ માટેનું સ્વર્ગ ગણાતા સ્વીત્ઝરલેન્ડની કેટલીક અગ્રણી બેંકોએ એવા ભારતીયો સાથે સંબંધો ઘટાડવાનું શરૂ કર્યું છે જેમણે નિયમોનો ભંગ કર્યો છે અને જે ભવિષ્યમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સંદર્ભમાં પગલાં લેતા સ્વીસ બેંકોએ ઓછામાં ઓછા ચાર ભારતીયોને 31 ડિસેમ્બર, 2014 સુધીમાં પોતાના નાણા કાઢી લેવાની જાણ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ 4 વ્યક્તિઓમાંથી એક દિલ્હીની અને ત્રણ મુંબઇની છે.
આ મુદ્દે સતત નજર રાખનારી એક વ્યક્તિએ એક અગ્રણી દૈનિકને જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક સપ્તાહમાં આ વ્યક્તિઓના બેંક રિલેશનશિપ મેનેજર્સે તેમને કોલ કરીને જણાવી દીધું છે કે તેમના ગુપ્ત બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડીને એકાઉન્ટ બંધ કરવામાં આવે. તેમાંથી એક વ્યક્તિને તો 30 ઓક્ટોબર સુધીમાં એકાઉન્ટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને એમ કહેવામાં આવ્યું છે કે તેઓ સાબિત કરે કે બેંકમાં જે નાણા પડ્યા છે તેના પર તેમણે ચેક્સની ચૂકવણી કરી દીધી છે. આ વ્યક્તિઓ પાસે આ એકાઉન્ટ્સ 10 વર્ષથી વધારે સમયથી છે.'
આ ફોન કોલ્સ કઇ બેંકોએ કર્યા હતા તેના સંદર્ભમાં માહિતી આવી છે. આ કોલ્સ જૂલિયસ બેયર, ક્રેડિટ સુઇસ અને યુબીએસની તરફથી આવ્યા હતા. આ બધી જ સ્વીસ બેંકો ભારતમાં કામ કાજ કરે છે.
નોંધીનય છે કે ભારત અને સ્વીત્ઝરલેન્ડ એક ઓટોમેટિક ઇન્ફોર્મેશન શેરિંગ એગ્રીમેન્ટ કરવાના આયોજનમાં છે. જેના કારણે સ્વિસ બેંકો માટે ભારતમાં રહેનારા એ લોકોના નામનો ખુલાસો કરવો જરૂરી થઇ જશે જેમના એકાઉન્ટ તેમની પાસે હશે.
આ કારણે સ્વીસ બેંકોમાં એકાઉન્ટ રાખનારા ટ્રસ્ટોના બેનિફિશિયરરી ભારતીયોની સરખામણીમાં આ બેંકોમાં ગુપ્ત નંબરવાળા ખાતા રાખનારાઓને વધારે મુશ્કેલી પડી શકે છે. ટ્રસ્ટ બેનિફિશિયરી અદાલતો અને ટેક્સ ડિપાર્ટમેન્ટને એમ કહીને છૂટી જઇ શકે છે કે તેમના નામ તેમને જાણ કર્યા વિના ઉમેરવામાં આવ્યા હતા. તેમને ટ્રસ્ટ પાસેથી કોઇ પૈસા નથી મળ્યા.
બીજી તરફ ગુપ્ત ખાતા ધારકોને વધારે તકલીફ થશે. કારણ કે આ ખાતા આરબીઆઇની રેમટેંસ સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા નથી. જો કોઇ ભારતીયને વિદેશી બેંકમાં એકાઉન્ટ ઓપરેટ કરવું હોય અને વિદેશમાં સ્ટોક્સ અને પ્રોપર્ટી ખરીદવી હોય તો તેણે રેમિટેંસ સ્કીમ મારફતે આગળ વધવું પડે છે.