ટાટા જૂથ એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવા તૈયાર : રતન ટાટા
નવી દિલ્હી, 27 ઓક્ટોબર : ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થાય તો ટાટા ગ્રુપને તેમાં આનંદ થશે. રતન ટાટાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે પબ્લિક સેક્ટરની આ વિમાની કંપનીનો હિસ્સો વેચવા અંગેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે.
રતન ટાટાને જ્યારે પૂછ્યું કે, એર ઇન્ડિયાનું જો ખાનગીકરણ કરવામાં આવે તો તમે તેને અધિગ્રહણ કરવામાં રસ લેશો કે કેમ? ત્યારે રતન ટાટાએ જણાવ્યું હતું કે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવે તો અમે ચોક્કસ રસ લઇશું. ટાટા જૂથ એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવા તૈયાર છે. આ સંદર્ભમાં તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા સાથે એક બેઠક દરમિયાન વાતચીત પણ કરી હતી.
એર ઇન્ડિયાની સ્થાપના 1932માં ટાટા સન્સ લિમિટેડના એક એકમ તરીકે થઈ હતી અને 1946 સુધી ટાટા ગ્રૂપ આ એરલાઇન્સનું સંચાલન કરતું હતું, ત્યાર બાદ એર ઇન્ડિયા એક જાહેર ક્ષેત્રની એક લિમિટેડ કંપની બની ગઈ હતી. રતન ટાટાના આ નિવેદન બાદ થોડા સમય પહેલા નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહે પણ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થવું જોઇએ એ તેમનો વ્યક્તિગત મત છે. સરકારને હોટલ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં રહેવાની જરૂર નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર સમક્ષ એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની કોઈ દરખાસ્ત નથી. લોકો એર ઇન્ડિયાની બ્રાન્ડને ધ્યાનમાં રાખે છે, તેના માલિક કોણ છે? તેની દરકાર કરતા નથી. અજિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે ખાનગીકરણ એ એર ઇન્ડિયાનો એક સંભવિત વિકલ્પ હોઇ શકે છે, અન્યથા વર્ષ 2020-21 સુધીમાં ત્રીસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ બાદ આ કંપનીને વધુ મૂડી ભંડોળની જરૂર રહેશે.
દરમિયાન ટાટા સિંગાપોર એરલાઇન્સ દ્વારા દેશમાં સંપૂર્ણ કક્ષાની વિમાની કંપની શરૂ કરવાના પ્રસ્તાવને વિદેશી રોકાણ બોર્ડની મંજૂરી મળ્યા બાદ રતન ટાટા અને સિંગાપુર એરલાઇન્સના સીઇઓ ગોહ ચુંગ ફોંગે આજે ઉડ્ડયન અજિતસિંહની મુલાકાત લીધી હતી. 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં નવી વિમાની કંપની શરૂ કરવા અંગેની વાતચીત થઈ હતી અને ટૂંક સમયમાં આ વિમાની કંપની કાર્યાન્વિત થઈ જશે.