કોબ્રાપોસ્ટના ખુલાસાઓમાં સચ્ચાઇ : ડી સુબ્બારાવ
અર્થશાસ્ત્ર પર આર એલ સિંઘવી એએમએ વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી સેક્શન દરમિયાન સુબ્બારાવે જણાવ્યું કે 'અમે એ બેંકોનો અભ્યાસ કર્યો છે. તેમની તપાસ પણ કરી છે. ઉંડાણથી તે બેંકોના વ્યવહારોનો અભ્યાસ કર્યા બાદ તે બેંકોના વ્યવસ્થાપકોને નોટિસ ફટકારી છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. કોબ્રાપોસ્ટના ખુલાસા બાદ રિઝર્વ બેંકે દેશની ખાનગી અને જાહેર બેંકોના કામકાજની તપાસ શરૂ કરી હતી.'
ઉલ્લેખનીય છે કે ગયા મહિને કોબ્રાપોસ્ટે જાહેર કરેલા પોતાના સ્ટિંગ ઓપરેશનમાં અગ્રણી બેંકો દ્વારા મની લોન્ડ્રિંગ કરવામાં આવતું હોવાના આરોપો મુક્યા હતા. શરૂઆતમાં આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક તથા એચડીએફસી બેંક અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 23 જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તથા વીમાં કંપનીઓ પર મની લોન્ડ્રિંગનો આરોપ લગાવ્યો હતો.
ડી સુબ્બારાવે એમ પણ જણાવ્યું કે 'હું એમ નથી કહી રહ્યો કે જે ખુલાસો થયો છે તે બધું જ થયું છે. પણ તેમાં થોડી સચ્ચાઇ તો છે. અમે આકલન કરીશું કે ક્યાં ખોટું થયું છે, કેટલું ખોટું થયું છે. અને આકલનના આધારે આગળની કાર્યવાહી કરીશું.' તેમણે એમ પણ જણાવ્યું કે મની લોન્ડ્રિંગ માટે બેંકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. કારણ કે તેમનું કામ જમા કરવામાં આવેલી રકમના સ્રોતની તપાસ કરવાનું નથી.
સુબ્બારાવે જણાવ્યું કે 'અમે ચોક્કસ રીતે કામગીરી કરવા માંગીએ છીએ. જો કશુંક શંકાસ્પદ કે શકાસ્પદ વ્યવહારો જણાશે તો તે અંગે માહિતી આપવાની પદ્ધતિ છે. બેંકો પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ આ અંગે રિપોર્ટ કરશે. જો બેંકો આવું કરતી નહીં હોય તો અમે બેંકો સામે કાર્યવાહી કરીશું.' નોંધનીય છે કે રિઝર્વ બેંક ઉપરાંત નાણા મંત્રાલય અને વીમા નિયામક ઇરડા પણ ઓનલાઇન પોર્ટલ કોબ્રાપોસ્ટના આરોપોની તપાસ કરી રહ્યાં છે.