ગુજરાતમાં અદાણી કરશે 55000 કરોડનું રોકાણ, જાણો અંબાણીએ શું કહ્યું
ગુજરાતમાં અદાણી કરશે 55000 કરોડનું રોકાણ, અંબાણીએ શું કહ્યું
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ નેરેન્દ્ર મોદીએ કહ્યું કે 2020 સુધીમાં ભારત વ્યવસાય કરવા માટે સૌથી સરળ ટૉપ 50 દેશમાં સ્થાન પામશે. વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન સમારોહમાં આજે ટાટા ગ્રુપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, રશિયન ઓઈલ એન્ડ ગેસ એક્ષપ્લોરર રોસનેફ્ટ અને સુઝુકી મોટર્સ કોર્પોરેશના પ્રતિનિધિઓએ મોદી સરકારની આગેવાનીવાળી સરકારના છેલ્લા પાંચ વર્ષના કામ પર પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો.
ગુજરાતમાં મૂડી રોકાણ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત 2003 નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે કરવામાં આવી હતી, વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા 2001માં મહાકાય ભૂકંપ અને 2002માં ફાટી નીકળેલાં રમખાણો બાદ રોકાણકારોના આત્મવિશ્વાસને ફરી ઉત્તેજિત કરવાની કોશિશ કરવામાં આવી.
ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને પોતાની સ્પીચમાં કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટે વિવિધ સ્ટેકહોલ્ડરને એક પ્રક્રિયા દ્વારા એકસાથે લાવવાનો ટ્રેન્ડ સેટ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મોદી સરકારે પાછલા પાંચ વર્ષમાં કરેલાં કામ દેશના આગામી પેઢીઓ સુધી વિકાસના પંથે લઈ જાય તેવાં છે.
ચંદ્રશેકરને કહ્યું કે ટાટા કેમિકલ્સની 1 મિલિયન સોડા એશની ક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. સાણંદમાં અણારો ઈલેક્ટ્રિક ઈવી પ્લાન્ટ પણ છે. માત્ર ઈલેક્ટ્રિક વાહનો બનાવવામા જ નહિં બલકે લિથિયમ-ઈયોન બેટરી બનાવવા પણ અમારે વધારે રોકાણ કરવું છે. ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં પણ અમે રોકાણ કરવા ઈચ્છીએ છીએ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 2003થી દર વર્ષે હાજરી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતના પરિવર્તનશીલ ટેમ્પ્લેટ્સને દેશના અન્ય રાજ્યો કઈ રીતે અનુસરી રહ્યા છે તે સંતોષજનક છે. મોદીને સ્વપ્નદ્રષ્ટા નેતા ગણાવી મુકેશ અંબાણીએ કહ્યું કે, મોદીની આગેવાનીમાં જ ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વિકસતું અર્થતંત્ર બન્યું.
અદાણી ગ્રુપ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 55000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાની સ્પીચમાં કહ્યું કે, "આગામી પાંચ વર્ષમાં રોકાણ દ્વારા અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર હાઈબ્રિડ પાર્ક બનાવીશું. આ સોલાર પાર્ક બનાવવા પાછળ અંદાજિત 30 હજાર કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. ઉપરાંત મુંદ્રા ખાતે અમે 1GW ડેટા સેન્ટર પાર્ક વિકસાવવા તથા લખપત ખાતે 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો કોપર સ્મેલટિંગ અને રિફાઈનિંગ પ્રોજેક્ટ, સિમેન્ટ અને ક્લિંકર મેન્યૂફેક્ચરિંગ યૂનિટ બનાવવા યોજના ઘડી છે. આ બધું મળીને કુલ 55 હજાર કરોડ રૂપિયા જેટલા રોકાણની જરૂર પડશે."
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત ત્સિંઘશન ઈન્ડસ્ટ્રી, ચાઈનાના ફાઉન્ડર અને ચેરમેન ગુઆંગદા શિયાંગે કહ્યું કે, "2017માં પહેલી વખત MoU કરી અમે ભારતીય પાર્ટનર્સ સાથે મળી મુન્દ્રા ખાતે સ્ટેનલેસ સ્ટીલનો પ્લાન્ટ સેટઅપ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું, MoU થયાના એક વર્ષમાં જ કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ ગયું હતું અને આગામી 14 માસમાં પ્રોજેક્ટનો પહેલો ફેઝ પૂર્ણ થઈ જશે."
સુઝુકી મોટર્સના સીઈઓ તોશિહિરો સુઝુકીએ કહ્યું કે, "તેમની કંપની મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ સાથે ભારતમાં કટીંગ-એજ ટેક્નોલોજીઓ રજૂ કરવાનું ચાલુ રાખશે અને ટકાઉ ગતિશીલતામાં ફાળો આપશે." જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત 2019માં ઉઝબેકિસ્તાન, રવાન્ડા, ડેનમાર્ક, Czech Republic, અને માલ્ટા એમ પાંચ દેશના મુખ્યા સહિત દેશ- વિદેશના 30,000 ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.
જો વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન સમારોહની વાત કરીએ તો તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "ભારત હવે બિઝનેસ કરવા માટે તૈયાર છે. છેલ્લા 4 વર્ષમાં બિઝનેસ કરવાની સરળતાના મામલે આપણે ગ્લોબલ રેન્કિંગમાં 65 નંબરથી આગળ કૂદકો માર્યો છે. આગામી વર્ષે ભારત બિઝનેસ કરવાની સરળતાના મામલે ટૉપ 50માં સ્થાન મેળવી શકે તે માટે મેં મારી ટીમને વધુ મહેનતે કામ કરવા માટે કહી દીધું છે."
આ પણ વાંચો- આખો દેશ ગુજરાત મોડલને અનુસરે છે: પીએમ મોદી