કોલ ઇન્ડિયાના કામદારોની હડતાલની શું અસર પડશે?
નવી દિલ્હી, 7 જાન્યુઆરી : ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની કોલ ઇન્ડિયામાં કામદારોએ પાંચ દિવસની હડતાલ ગઇકાલથી શરૂ કરી છે. આ હડતાલને કારણે વિજળી સંકટ આવી શકે છે. આ કર્મચારીઓ કોલસા ખોદકામ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે.
હડતાલને કારણે કોલ ઇન્ડિયાની 60 ટકાથી વધુ ખાણોમાં કોલસાનું ઉત્પાદન ઠપ્પ થઇ ગયુ છે. પાંચ દિવસની આ હડતાલથી વિજળીના ઉત્પાદનને અસર થઇ શકે છે કારણ કે 20 થર્મલ પાવર પ્લાન્ટ પાસે 4 દિવસથી પણ ઓછો કોલસાનો પુરવઠો છે. 1977 પછીની આ સૌથી મોટી ઔદ્યોગિક હડતાલ કહેવાય છે.
પાંચ લાખ જેટલા કર્મચારીઓ ગઇકાલથી જ હડતાલ ઉપર ઉતરી પડયા છે. જેની અસર પ્રથમ દિવસે જ જોવા મળી હતી. વિજળી એકમોને ઇંધણના પુરવઠા ઉપર પણ અસર પડી શકે છે. જેને કારણે દેશ સમક્ષ એક મોટુ વિજળી સંકટ ઉભુ થઇ શકે છે. હડતાલને દુર કરવા માટે ગઇકાલે મોડીરાત સુધી વાટાઘાટો ચાલી હતી પરંતુ પરિણામ આવ્યુ ન હતુ.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોજ 15 લાખ ટન કુલ ઉત્પાદનમાંથી લગભગ 75 ટકાને અસર થઇ છે. દેશમાં 60 ટકાનું વિજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. થર્મલ પાવર સ્ટેશનોની કોલસાની 80 ટકા જરૂરીયાત કોલ ઇન્ડિયા પુરી કરે છે. કોલ ઇન્ડિયાની પાંચ દિવસની હડતાલથી લગભગ 80 લાખ ટન ઉત્પાદન ઉપર અસર પડી શકે છે. કોલ ઇન્ડિયાની તમામ કંપનીઓ રોજ લગભગ 15 લાખ ટન ઉત્પાદન કરે છે .
દેશના 20 જેટલા થર્મલ પાવર પ્લાન્ટમાં ચાર દિવસથી પણ ઓછો કોલસો બચી ગયો છે. આ પાવર પ્લાન્ટને 70 થી 90 ટકા કોલસો કોલ ઇન્ડિયા પુરો પાડે છે. જ્યારે 42 થર્મલ પાવર પ્લાન્ટ એવા છે જેની પાસે માત્ર 7 દિવસનો કોલસો છે. આ હડતાલને કારણે સરકારને રોજનું 150 કરોડનું નુકસાન કરવુ પડી રહ્યુ છે. જો કે કોલસા મંત્રીનું કહેવુ છે કે દેશમાં વિજળી સંકટ થવાની શકયતા નથી.
બિહાર, ઝારખંડ, હરિયાણાના એકમોને પણ અસર થઇ છે. ઓડિશામાં પણ કોલસાની ખાણને અસર પડી છે. આજે કોલસા મંત્રી ગોયલ યુનિયનના નેતાઓને મળી શકે છે. પ્રથમ દિવસે જ બે પાળીમાં 70 કરોડ રૂપિયા સુધીના ઉત્પાદનને અસર પડી હતી.