ભગવાન ગણેશની આ 6 વાતો જીવનમાં ઉતારો
હાલમાં દેશમાં ગણોશોત્સવની ધૂમ છે. ભક્તો નવ નવ દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થશે . અને તહેવારોની શરૂઆત થઈ જશે. આપણાં ધર્મમાં દરેક ધાર્મિક કાર્ય અને તહેવારની શરૂઆત ગણેશ પૂજાની સાથે જ થાય છે. ગણેશજીની મૂર્તિમાં આપણને મનુષ્ય અને પશુ બંનેનું મિશ્રણ જોવા મળે છે. ગણેશ ભક્તિમાં લોકોની ઊંડી આસ્થા જોવા મળે છે.
ભગવાન ગણેશના દર્શનમાં હાથીનું માથું, મોટું પેટ, મોટા કાન અને ઉંદરની સવારી જોવા મળે છે. ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના પ્રતીક માનવામાં આવે છે. તે બધી પરેશાનીઓને દૂર કરે છે એટલે તેમને ‘વિઘ્નેશ્વર' પણ કહેવામાં આવે છે. તેમનું હાથીનું માથું બુદ્ધિનું પ્રતીક છે અને તેમના મોટા કાન દર્શાવે છે કે તેઓ પોતાના ભક્તોની દરેક વાત સાંભળે છે.
ભગવાન ગણેશ વિશે એવી કેટલીય વાતો છે જેનાથી જાણી શકાય છે કે તેઓ બુદ્ધિના દેવતા શા માટે કહેવાય છે. આજે અમે તમને ભગવાન ગણેશની 6 અદભુત વાતો જણાવી રહ્યાં છીએ જેને જીવનમાં ઉતારવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ હલ થઈ શકે છે.
જવાબદારીનો અહેસાસ
આપણે જાણીએ જ છીએ કે ભગવાન શિવે શા માટે ગણેશજીનું માથું કાપી નાખ્યું હતું અને પછી તેની જગ્યાએ હાથીનું માથું લગાવ્યું. આ કથાથી પ્રેરણા મળે છે કે હંમેશા આપણે કર્તવ્યો અને જવાબદારીઓનું પાલન કરવું જોઈએ. ભગવાન ગણેશે માતા પાર્વતીની આજ્ઞાનું પાલન કરતા પોતાના માથાનું બલિદાન આપ્યું હતુ.
મર્યાદિત સાધનોનો ઉત્તમ ઉપયોગ
મહત્તમ એવું જોવા મળે છેકે લોકોને જીવનમાં મર્યાદિત સાધનો હોવા સામે ફરિયાદ હોય છે, પરંતુ ગણેશ અને કાર્તિકેયની કથા સૂચવે છે કે કેવી રીતે જીવનમાં મર્યાદિત સાધનોનો ઉત્તમ ઉપયોગ કરી શકાય. એક પૌરાણિક કથા મુજબ, એક વખત ગણેશ અને કાર્તિકેયની વચ્ચે તેમના માતા-પિતા શિવ-પાર્વતી દ્વારા દુનિયાના ત્રણ ચક્કર લગાવવાની સ્પર્ધા રાખવામાં આવી. ત્યારે કાર્તિકેય તો પોતાના વાહન મોર પર સવાર થઈ ગયા. પણ ગણેશજીએ પોતાના માતા-પિતાના જ ત્રણ ચક્કર લગાવી લીધા અને કહ્યું તેમના માટે તો તેઓ જ સંપૂર્ણ દુનિયા છે. આ રીતે ગણેશજીએ મર્યાદિત સાધનો અને પોતાની બુદ્ધિથી સ્પર્ધા જીતી ચમત્કારી ફળ પ્રાપ્ત કર્યું.
સારા શ્રોતા બનો
ગણેશ ભગવાનના મોટા કાન સારા શ્રોતા બનવાનું સુચવે છે. એક સારો શ્રોતા જ સ્થિતિને સારી રીતે સમજી શકે છે. બીજાને યોગ્ય રીતે સાંભળવાથી તમને સ્થિતિને સમજવા અને યોગ્ય નિર્ણય લઈને ઉકેલ મેળવવામાં મદદ મળે છે.
શક્તિ પર નિયંત્રણ
જે પણ શક્તિઓ મળી છે, તેનો ખોટો ઉપયોગ વિનાશ નોતરી શકે છે. પરંતુ ગણેશજીની વળેલી સૂંઢ દર્શાવે છે કે ગણેશજીનું તેમની શક્તિ ઉપર કેટલું નિયંત્રણ છે. પોતાની શક્તિઓને નિયંત્રીત રાખવી જોઈએ, અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
ક્ષમા ભાવના
એક વખત ગણેશ ભગવાનને જમવાનું આમંત્રણ મળ્યું અને તેમણે વધુ ભોજન ગ્રહણ કરી લીધું. ત્યારે ચંદ્રએ તેમના ફૂલેલા પેટની મજાક ઉડાવી. જેથી ગણેશજીએ ચંદ્રને અદૃશ્ય થવાનો શાપ આપ્યો. ચંદ્રને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તેમણે ગણેશજીની માફી માંગી. અને ગણેશજીએ તેમને માફ પણ કરી દીધા, અને કહ્યું કે તમે દરરોજ થોડા-થોડા ઘટતા જશો અને મહિનામાં માત્ર એક જ દિવસ અદૃશ્ય થશો. આ રીતે આપણે બુદ્ધિના દેવ ગણેશથી ક્ષમા કરવાનો બોધપાઠ પણ શીખવો જોઈએ.
બીજા પ્રત્યે માનવતા અને સન્માનની ભાવના
આ વાત તેમના વાહનથી સમજવા મળે છે. તેઓ એક નાના ઉંદર પર સવાર હોય છે. તેનાથી એ ફલિત થાય છે કે ભગવાન ગણેશ નાનામાં નાના જીવને પણ માન આપે છે. એટલે કે બધાનું સન્માન કરવાની પ્રેરણા આપે છે. આવું કરીને જ આપણે જીવનમાં સન્માનનીય સ્થાન મેળવી શકીએ છીએ.