2.1 લાખ બાળકોએ AIDS ના લીધે ગુમાવ્યા જીવ: રિપોર્ટ
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીઓના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તમામ અભિયાન અને યોજનાઓ બાદ પણ આ ગંભીર બિમારીના કારણે મોતનો આંકડો વધતો જાય છે. તાજા આંકડા અનુસાર ગત વર્ષે 2.1 લાખ બાળકોએ એઇડ્સના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એઇડ્સ અને એઇડ્સ જેવી બિમારીના લીધે ગત વર્ષે (2012) 2.1 બાળકોને પોતાની જીંદગીથી હાથ ધોવો પડ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો. બાળકો તથા એઇડ્સની સ્થિતી પર આ વર્ષે આવેલા રિપોર્ટ અનુસાર 2012માં નાની તથા મધ્યમ આવકવાળા દેશોમાં ફક્ત 34 ટકા એચઆઇવી પીડિત બાળકોને જ સારવાર પુરી પાડી શકાય છે, જ્યારે આ સમયગાળામાં ઉપચાર મેળવનાર એચઆઇવી પીડિત વયસ્કોની ટકાવારી 64 ટકા રહી.
એઇડ્સ માટે કામ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંગઠન 'યુએનએઇડ્સ'ના કાર્યકારી નિર્દેશક મિશેલ સિદિબેએ કહ્યું 'આ રિપોર્ટ આપણને તે વાતની યાદ અપાવે છે કે એઇડ્સ મુક્ત પેઢી તેને કહી શકાય, જેમાં જન્મ લેનાર બધા બાળકો એચઆઇવી મુક્ત હોય અને ત્યારબાદ પણ એચઆઇવી મુક્ત રહે. તેનો આશય એ છે કે એચઆઇવી પીડિત બધા બાળકોની સારવારની સુવિધા હોય.''