મહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં...
મહાભારતનું એક પ્રમુખ પાત્ર ગાંધારીએ એક બે નહિં પણ પૂરાં સો પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. શું તમને આ વાતથી આશ્ચર્ય થતુ નથી?
મહાભારતનું એક પ્રમુખ પાત્ર ગાંધારીએ એક બે નહિં પણ પૂરાં સો પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. શું તમને આ વાતથી આશ્ચર્ય થતુ નથી? ગાંધારીના સો સંતાનની માતા બનવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. આવો જાણો શું તે પાછળનું રહસ્ય.
ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા વિવાહ
ગાંધારીના પિતા ગાંધાર નરેશ સુબલે પોતાની દિકરીના લગ્ન હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે કરાવ્યા હતા. જ્યારે ગાંધારીને આ વાતની જાણ થઈ કે તેમનો પતિ નેત્રહિનછે તો પત્ની ધર્મ નિભાવવા માટે તેમણે પણ પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી અને આંખ હોવા છતાં આખુ જીવન નેત્રહિન રહેવાનો સંકલ્પ કર્યો.
મહર્ષિ વેદવ્યાસનું વરદાન
કહેવાય છે કે, એક વાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા ત્યારે ગાંધારીએ તેમનો ખૂબ આદર-સત્કાર કર્યો, જેનાથી ખુશ થઈ મહર્ષિએ ગાંધારીને વરદાન માંગવા કહ્યુ. ત્યારે ગાંધારીએ પોતાના પતિ સમાન સો બળવાન પુત્રોના આશિર્વાદ માંગ્યા. સમય આવતા ગાંધારી ગર્ભવતી થઈ પણ એક વર્ષ વીતી જવા છતાં તેના સંતાનનો જન્મ ન થયો ત્યારે તેને ચિંતા થઈ. એક દિવસ ક્રોધમાં આવી પોતાના પેટ પર જોરથી માર મારી પોતાના ગર્ભને પાડી દીધો.
લોખંડ સમાન ગર્ભ નિકળ્યો
ત્યારબાદ તેમાંથી એક લોખંડ સમાન ગર્ભ નિકળ્યો. કહેવાય છે કે યોગદ્રષ્ટિથી મહર્ષિને તરત આ વાતની જાણ થઈ ગઈ અને તરત તેઓ હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમણે ગાંધારીને આદેશ આપ્યો કે તે સો કુંડામાં ઘી ભરીને મુકી દે. મહર્ષિની આજ્ઞા અનુસાર ગાંધારીએ તેમ જ કર્યુ. ત્યાર બાદ તેમણે ગાંધારીને ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર જળનો છંટકાવ કરવા કહ્યુ. જ્યાં ગાંધારીએ તેના પર જળ છાંટ્યુ ત્યાં જ માસના પિંડથી એક સો એક ટુકડા થયા. વેદવ્યાસે ગાંધારીને આ ટુકડાને ધૃતથી ભરેલા કૂંડામાં નાખવા કહ્યુ અને સાથે જ જણાવ્યુ કે તે આ કૂંડાને બે વર્ષ બાદ જ ખોલે.
કુળનો વિનાશક દુર્યોધન
બે વર્ષ બાદ આ કુંડામાંથી સૌથી પહેલા દુર્યોધનનો જન્મ થયો અને પછી તેના 99 ભાઈઓ અને એક બહેનનો. આ સો ભાઈ કૌરવોના નામથી ઓળખાય છે. એવું મનાય છે કે, દુર્યોધનના જન્મ બાદ ઋષિ-મુનિઓએ ભવિષ્યવાણી કરી હતી કે તે કુળનો વિનાશક સાબિત થશે. જેથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના આ પુત્રનું બલિદાન આપવું પડશે. જો કે પુત્રના મોહમાં બંને આ કરી શક્યા નહિં. ભવિષ્યમાં દુર્યોધન જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો. જેમાં કૌરવોનો નાશ થયો.
ગાંધારીની પુત્રી દુશ્શલા
ગાંધારીની પુત્રીનું નામ દુશ્શલા હતુ. જેના વિવાહ જયદ્રથની સાથે થયા હતા. જે સિંધુ પ્રદેશનો રાજા હતો. જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્રને આ વરદાન પ્રાપ્ત હતુ કે તેમના પુત્રની હત્યા કોઈ સામાન્ય વ્યકિત નહિં કરી શકે. જે પણ જયદ્રથને મારી તેનું માથુ શરીર પર પાડશે, તેના માથાના હજારો ટુકડા થઈ જશે. પછી જયદ્રથની હત્યા અર્જુને કરી હતી.
કૃષ્ણને શ્રાપ
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે ગાંધારીએ પોતાના પુત્રોના શવ જોયા તો તે વિલાપ કરવા લાગી. તેણે કૃષ્ણને યુદ્ધના જવાબદાર ઠેરવતા શ્રાપ આપ્યો કે ઠીક 36 વર્ષ બાદ તે પણ પોતાના પરિવારના સભ્યોની હત્યા કરશે અને પોતે પણ એક અનાથની જેમ મૃત્યુ પામશે. જો કે ભગવાનને આ વાતનું જ્ઞાન પહેલેથી જ હતુ.