કાગડાની ગેહરાજરીથી કાગવાસ થશે નામશેષ...!!!
(રાકેશ પંચાલ), ચરોતર: આ વખતે શ્રાદ્ધ પક્ષને વરસાદનું ગ્રહણ નડ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં અપશુકનિયાળ ગણાતા કાગડાનું સવિશેષ મહત્વ છે. વર્ષોથી શ્રાદ્ધ પક્ષમાં દાન પૂણ્ય સાથે કાગવાસ કરવાની પણ પ્રથા રહેલી છે. જેમાં પોતાના પિતૃને કાગવાસ નાંખવા પોતાના ઘરની અગાશી કે છાપરા ઉપર ચઢીને કાગડાઓને બોલાવતા હોય છે. જેમા આવેલા કાગડાઓને ખીર અને રોટલીનું મિશ્રણ કરી કરેલી વાનગી સાથે કાગવાસની બૂમો પાડીને અર્પણ કરવામાં આવે છે.
છેલ્લા અનેક વર્ષોથી જાણે કાગડાઓ નામશેષ થઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. એક બૂમે આવી જતો કાગડો હવે હજારો બૂમો પાડો તો પણ દેખાતો નથી. મોટા ભાગના લોકો માને છેકે કાગડાઓ નામશેષ થઈ ગયા છે. જોકે હજૂ ચરોતર પંથકના અમુક ગ્રામીણ વિસ્તારોમાં કાગડાઓ જોવા મળે છે. તે વિસ્તારોમાં પણ સતત પડી રહેલા વરસાદ અને વાદળછાયાં વાતાવરણને કારણે કાગડાઓ અદ્રશ્ય બની ગયા હતા. જેથી આ વખતે શ્રાદ્ધ પક્ષમાં દાન- પૂણ્યનું પ્રમાણ વધારે જોવા મળ્યું જ્યારે કાગવાસ માટે જરૂરી કાગડાની ગેરહાજરીએ લોકોને નિરાશ કર્યા છે.
દિવંગત પિતૃઓનું પ્રતીક મનાતો કાગડો માનવ સંસ્કૃતિનો સૌથી જૂનો સાક્ષી મનાય છે. પ્રાચીન અને મધ્યકાલીન ઉપરાંત અર્વાચીન લોકગાથાઓમાં કાગડાની વાણી વિષે અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. પરંતુ આધુનિક સમયમાં કાગડાની પાંખી હાજરી દરેકને નિરાશ કરે છે.
પંડિતોના મતે
શ્રાદ્ધ અંગે પંડિતોના મતે પૂનમથી અમાસ સુધી પિતૃનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. પુરાણ કહે છે કે ઘર્મનો આધાર શ્રદ્ધા છે. શ્રાદ્ધ પણ શ્રદ્ધા પ્રગટ કરવાનું એક ઘાર્મિક કર્મ છે. શ્રાદ્ધ પર્વ દરમિયાન આપણે આપણા પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ.
હિન્દુ શાસ્ત્રો મુજબ
પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષ મેળવે છે. હિન્દુ શાસ્ત્રોમાં દુકાળ, રોગચાળો, શત્રુભય અને કુદરતી હોનારતોની આગોતરી જાણકારી આપતો કાગડો સદભાગ્યે જ દેખાય છે.
કાગડાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
કેટલાક કાગવાસ જેવી પ્રથાને અનુસરતા લોકોના મતે પ્રવર્તમાન સમયમાં કાગડાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુખ્યત્વે કાગડાની યાદ પિતૃપક્ષમાં આવે છે. અને બાકીના સમયે કાગડા તરફ ધ્યાન પણ જતું નથી. પરંતુ જ્યારે પિતૃઓના શ્રાદ્ધ વખતે કાગવાસની પ્રથા દરમ્યાન કાગડાઓનું આગમન થતું નથી ત્યારે ઘણું દુખ થાય છે. અને જેથી દાન-પૂણ્ય કરીને સંતોષ માની લેવો પડે છે.
કાગડાઓની ગેરહાજરી
તેમ છતાં કાગડાઓની ગેરહાજરી જ કાગવાસની પ્રથા નામશેષ કરી દે તેવા એંધાણ મળી રહ્યાં છે. પહેલા જ્યારે કાગવાસ કરવા અમારા બાપુ છાપરા પર જતાં ત્યારે કાગડાઓની ભરમાર અમારી આંખે નિહાળી છે અને તે ખબર કાબર અને ચકલીને દૂર ભગાવાની ફરજ પડતી હતી. પરંતુ વર્તમાન સમયમાં કાગવાસની મિજબાની કાબરો અને ચકલીઓ અને કબૂતર ઉડાવે છે.