રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રભાષા વગરનો દેશ..ભારત!
આપણે કોઇ પણ દેશમાં જઇએ, એ પછી ચીન હોય, પાકિસ્તાન હોય, રશિયા હોય, જાપાન હોય કે પછી શ્રીલંકા તમને ત્યાંની રાષ્ટ્રભાષા જાણવા મળશે. ચીનમાં જાઓ તો ચીની, પાકિસ્તાનમાં જાઓ તો ઉર્દૂ, રશિયામાં જાઓ તો રશિયન, જાપાનમાં જાઓ તો જાપાનીઝ અને શ્રીલંકામાં જાઓ તો શિંહલા, પરંતુ ભારત પાસે તેની કોઇ રાષ્ટ્રભાષા નથી. તમને થતું હશે કે, આવું શા માટે કે ભારતની કોઇ રાષ્ટ્રભાષા નથી... પરંતુ આ સત્ય છે. આપણે જે હિન્દી ભાષાને આપણી રાષ્ટ્રભાષા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનું યોગદાન આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા મહાત્મા ગાંધી અને જેને આખો દેશ બાપુ કહીંને સંબોધે છે, તેને આપણે રાષ્ટ્રપિતા હોવાનું ભલે માની રહ્યા હોય પરંતુ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાની અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની રાષ્ટ્રીય સ્વિકૃતિ મળી નથી.
ભારતમાં સર્વાધિક જનસંખ્યા હિન્દી ભાષા સમજે છે અને બોલે છે, મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, પરંતુ એક આરટીઆઇ હેઠળ એ વાત બહાર આવી છે કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. લખનઉના આરટીઆઇ કાર્યકર્તા ઉર્વશી શર્માને આરટીઆઇ હેઠળ ભારત સરકારના ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર ભારતના સંવિધાનના અનુચ્છેદ 343 હેઠળ હિન્દી ભારતની ‘રાજભાષા' એટલે કે રાજકાજની ભાષા માત્ર છે. ભારતના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઇ ઉલ્લેખ નથી.
ઉર્વશી અનુસાર આ દુર્ભાગ્યપૂર્ણ છે કે હિન્દીના નામે મોટી-મોટી વાતો કરનારી ભારત સરકાર સાત મહિનાઓ પછી પણ દેશમાં હિન્દીના પ્રચાર-પ્રસારની જાણકારી આપી શકી નથી. વર્ષ 1947થી નાણાકીય વર્ષ 2012-13 સુધી વિદેશોમાં હિન્દીના પ્રચાર-પ્રસારની જાણકારી આપવા માટે ઉર્વશી શર્માની સૂચનાની અરજી પ્રધાનમંત્રી કાર્યાલયથી ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ, રાજભાષા વિભાગથી વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રાલયથી નાણામંત્રાલયને સ્થળાંતરિત કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના નિદેશક મનીષ પ્રભાત દ્વારા 21 ફેબ્રુઆરીએ લખવામાં આવેલા પત્ર અનુસાર વર્ષ 1947થી નાણાકિય વર્ષ 1983-84 સુધી વિદેશી હિન્દીને પ્રચાર-પ્રસારની જાણકારી ભારત સરકાર પાસે નથી. ઉર્વશીનું કહેવું છે કે, આ દુઃખદ છે કે હિન્દીના નામ પર વક્તવ્ય આપીને પોતાના કર્તવ્યોની ઇતિશ્રી માનનારી ભારતીય સરકાર પાસે વિદેશોમાં હિન્દીના પ્રચાર-પ્રસારની 36 વર્ષોની કોઇ જાણકારી નથી.
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, નાણાકિય વર્ષ 1984-85થી નાણાકિય વર્ષ 2012-13ના સમયગાળામાં વિદેશોમાં હિન્દીના પ્રચાર-પ્રસાર માટે ભારત સરકાર દ્વારા ઓછામાં ઓછા 5,62,000 રૂપિયા વર્ષ 84-85 અને સર્વાધિક 68,54,8000 રૂપિયા વર્ષ 2007-08માં ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ 2012-13માં ઑગસ્ટ 2012 સુધી 50,00,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ભારત સરકારના આ ખુલાસાથી દુઃખી ઉર્વશીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરરજો અપવા અને વિદેશોમાં તેના પ્રચાર-પ્રસાર માટે બજેટિય ફાળવણીમાં વૃદ્ધિ માટે સંઘર્ષ કરવા માટે પોતાને કૃતસંકલ્પ ગણાવ્યા છે.
બાપુ રાષ્ટ્રપિતા નથી!
જે રીતે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે નહીં તે જાણવા અંગે આરટીઆઇ કરવામાં આવી, તેવી જ રીતે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે કે નહીં તે અંગે પણ એક આરટીઆઇ કરવામાં આવી હતી. છઠ્ઠા ક્લાસમાં ભણતી ઐશ્વર્યા પરાસરે એક આરટીઆઇ કરી હતી, જેમાં એ બહાર આવ્યું હતું કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હોવાના કોઇ અધિકૃત અહેવાલો ભારત સરકાર પાસે નથી.