પુણ્યતિથિ વિશેષ : સંત સેવા અને ઉદારતાનાં પ્રતીક જલારામ બાપા
અમદાવાદ, 7 માર્ચ : ચલ... ચલ... નિકળ અહીંથી... અહીં કોઈ જલારામ નથી ખોલી રાખ્યું...! ગુજરાતમાં સામાન્ય રીતે જાહેરજીવનમાં આવો વાક્ય વારંવાર વપરાય છે. આ વાક્ય તમે પણ કદાચ ક્યારેક તો ઉચ્ચાર્યો જ હશે કે જ્યારે તમારી પાસે કોઇકે કોઈ વસ્તુ મફતમાં પામવાં માંગી હશે.
અરે ભાઈ, વસ્તુ આપની છે. આપ કોઈને મફતમાં ન આપવા માંગતા હોવ, તો કંઈ નહીં, પણ આમાં જલારામને કેમ વચ્ચે લાવવામાં આવે છે? કોણ છે આ જલારામ? જલારામ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અવતરનાર મહાન સંતનું નામ છે. તેઓ એટલાં બધાં ઉદાર અને દાની હતાં કે તેમણે પોતાનાં પત્ની સુદ્ધાને એક સંતની સેવામાં સોંપી દીધી હતી. એટલે જ જ્યારે કોઈ વ્યક્તિ પોતે જલારામ જેટલી ઉદાર ન બની શકતી હોય, ત્યારે એમ કહે છે કે ચલ ચલ નિકળ અહીં થી, હું કંઈ જલારામ જેવો નથી.
આજે જલારામ કેમ યાદ આવી ગયાં? અરે ભાઈ, આજે તેમની 135મી પુણ્યતિથિ છે. સંતોની ભૂમિ સૌરાષ્ટ્ર મધ્યે રાજકોટથી 56 કિલોમીટર દૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગે આવેલ વીરપુર ગામ માત્ર એક ગામ નથી, પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ એ જ પાવન ભૂમિ છે કે જ્યાં 214 વર્ષ પૂર્વે મહાન સંત જલારામ બાપા અવતર્યા હતાં. જલારામ બાપાની સંત સેવાની કીર્તિ આજે પણ અહીં જળવાયેલી છે. જલારામ બાપા જનસેવા પ્રત્યે એટલા સમર્પિત હતાં કે તેમણે પોતાના પત્ની સુદ્ધાને સંતની સેવા માટે સોંપી દીધા હતાં. જલારામ દ્વારા શરૂ કરાયેલ સદાવ્રત આજે 194 વર્ષ બાદ પણ સતત ચાલુ છે.
પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈના વચલા પુત્ર જલારામનો જન્મ વિક્રમ સંવત 1856માં કારતક સુદ સાતમ સોમવારના દિવસે થયો હતો, જ્યારે તેમણે મહા વદ દશમી 1934ના દિવસે દેહ છોડ્યો હતો. તિથિ પ્રમાણે આજે જલારામ બાપાની 135મી પુણ્યતિથિ છે.
આજે એમની પુણ્યતિથિએ આપણે જાણીએ જલારામ વિશે કેટલીક અજાણી વાતો. જલારામ બાપા બાળપણથી ભક્તિમાર્ગે ચાલી નિકળ્યા હતાં. સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ 16 વર્ષની વયે જલારામે અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાવુ પડ્યું. આટકોટ નિવાસી પ્રાગજી સામૈયાના પુત્રી વીરબાઈ તેમના અર્ધાંગિની બન્યાં. લગ્ન થયા બાદ પણ જલારામના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. તેઓ વધુને વધુ પ્રભુમય રહેવા લાગ્યાં. તેમનો સાધુ-સંતો પ્રત્યે અનહદ પ્રેમભાવ હતો. સાધુ-સંતોને અન્નદાન-વસ્ત્રદાન કરી સંતુષ્ટ કરતાં. કરિયાણાની દુકાન સંભાળતાં જલારામ કાયમ સેવાભાવી પ્રવૃત્તિઓમાં તલ્લીન રહેતાં.
ગુજરાતમાં બાપાની ઉપાધિ પ્રાપ્ત કરનાર જલારામે અમરેલી પાસે ફતેપુર ગામ જઈ ભોજલરામને ગુરુ બનાવ્યાં અને વીરપુરમાં સદાવ્રત શરૂ કરવાની ગુરુઆજ્ઞાન પ્રાપ્ત કરી. ભોજલરામ ભોજા ભગત તરીકે પણ જાણીતા હતાં. જલારામ ફતેપુરથી વીરપુર પરત ફર્યાં અને તેમણે પત્ની વીરબાઈ સાથે ખેતરમાં મજૂરી કરી અન્ન ઉગાડ્યું અને તે અન્નથી વિક્રમ સંવત 1876માં માઘ માસની સુદ બીજના દિવસથી સદાવ્રત શરૂ કર્યું. તે વખતે જલારામની ઉંમર માત્ર 20 વરસની હતી. આ સદાવ્રત આજે 194 વર્ષ બાદ પણ સતત ચાલે જ છે.
સંતોના ભક્ત જલારામ બાપાના પત્ની વીરબાઈ પણ પતિ સાથે ભક્તિના રંગે રંગાતા ગયાં. આ જ દરમિયાન વિક્રમ સંવત 1886માં જલારામ બાપાના આંગણે એક વૃદ્ધ સંત પધાર્યાં. જલારામે સદાવ્રતની પરમ્પરા મુજબ આ સંતને ભોજન કરવાનો આગ્રહ કર્યો, પરંતુ સંતે ભોજન કરવાનો ઇનકાર કર્યો અને પોતાનો દંડો-ઝોળી (ધોકો) લઈ ચાલતા થયાં. જલારામે સંતને રોક્યાં અને તેમને તેમની ઇચ્છા મુજબ માંગવા જણાવ્યું. વૃદ્ધ સંતે સેવા-ચાકરી માટે જલારામ પાસેથી તેમના પત્ની વીરબાઈની માંગણી કરી. જલારામે ક્ષણનો પણ વિલમ્બ કે વિચાર ન કર્યો અને પત્ની વીરબાઈને સંત ચરણે સમર્પિત કરી દીધાં. વીરબાઈએ પણ પતિની આજ્ઞા મુજબ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાનું જીવન સંતના ચરણે ધરી દીધું અને તેમની સાથે ચાલી નિકળ્યાં.
વીરબાઈ અને વૃદ્ધ સંત ચાલતાં-ચાલતાં એક નિર્જન સ્થળે પહોંચ્યાં. ત્યાં સંતે વીરબાઈને દંડો-ઝોળી સોંપતાં જણાવ્યું - હું હમણાં આવું છું. એટલું કહ્યાં બાદ તે સંત જતા રહ્યાં. સાંજ સુધી પણ સંત પરત ફર્યા નહીં. કહે છે કે તે જ વખતે આકાશવાણી થઈ કે જેમાં વીરબાઈને કહેવામાં આવ્યું કે તેઓ સંતનો દંડો-ઝોળી લઈ વીરપુર સદાવ્રત સ્થળે પરત ફરી જાય. તે સંતનો દંડો-ઝોળી આજે પણ વીરપુરમાં મોજૂદ છે કે જેની નિયમિત પૂજા-અર્ચના થાય છે. વીરપુરમાં સ્થાપિત જલારામ મંદિર તથા સદાવ્રત પ્રાકૃતિક-માનવ સર્જિત આપત્તિઓમાં આજે પણ લોકોની સહાય કરવામાં અગ્રેસર રહે છે. સને 1963માં અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે જલારામ અતિથિ ગૃહ શરૂ કરાયું કે જેમાં 700 લોકોના રહેવાની વ્યવસ્થા છે.