નવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા
નવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા
છેલ્લા એક વર્ષથી ઈંતજાર હતો તેવો શુભ પર્વ નવરાત્રી નજીક આવી ગયો છે, ગરબા, આરતી અને દેવીની પૂજાના આ પર્વ દરમિયાન તમે ધારેલાં તમામ કાર્યો મુહૂર્ત જોયા વિના જ પાર પાડી શકો છો અને કેટલાય લોકો આ સમયે લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવાં કાર્યો કરવાના પ્રયત્નો પણ કરતા હોય છે. દેશભરમાં સૌથી ખાસ રીતે ગુજરાતીઓ નવરાત્રીનો પર્વ મનાવે છે, ત્યારે નવરાત્રીમાં કયા દિવસે કયાં દેવીની પૂજા અર્ચના કરવી તે જાણવું બહુ મહત્વનું રહે છે. તો અહિં જાણો તિથિ પ્રમાણે કયા દેવીની પૂજા ક્યારે કરવી?
નવરાત્રીનો પ્રારંભ
હિંદુ પંચાંગ મુજબ શરદ નવરાત્રી આસો મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિ એકમથી શરૂ થાય છે અને વિજયા દશમીની પહેલી નવમી સુધી ચાલશે. આ નવ દિવસો સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપ- મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
અહિં આપેલ તિથિ મુજબ કરો દેવીની પૂજા
- 10 ઓક્ટોબર- એકમ- ઘટ/કલશ સ્થાપન અને શૈલપુત્રી તથા બ્રહ્મચારિણીની પૂજા કરવી.
- 11 ઓક્ટોબર- બીજ- નવરાત્રીના બીજા દિવસે ચંદ્રઘંટા માતાની પૂજા કરવી
- 12 ઓક્ટોબર- ત્રીજ- નવરાત્રીના ત્રીજા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવી.
- 13 ઓક્ટોબર- ચોથ- નવરાત્રીના ચોથા દિવસે સ્કંદમાતાની પૂજા કરવી.
- 14 ઓક્ટોબર- પાંચમ- નવરાત્રીના પાંચમા દિવસે સરસ્વતીની પૂજા કરવી.
- 15 ઓક્ટોબર- છઠ્ઠ- નવાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની પૂજા કરવી.
- 16 ઓક્ટોબર- સાતમ- નવરાત્રીના સાતમા દિવસે કાળરાત્રિ અને સરસ્વતીની પૂજા કરવી.
- 17 ઓક્ટોબર- આઠમ- નવરાત્રીના આઠમા દિવસે મહાગૈરી, દુર્ગા અષ્ટમી અને નવમી પૂજન કરવું.
- 18 ઓક્ટોબર- નોમ- નવરાત્રીના નવમા દિવસે નવમી હવન અને નવરાત્રિ પારણાં કરવાં.
- 19 ઓક્ટોબર- દશમ- દુર્ગા વિસર્જન અને વિજયાદશમી.
નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ
નવરાત્રીનું મહત્વ
હિંદુ ધર્મમાં કોઈપણ કાર્યને શરુ કરવા અને પૂજા ઉપાસનાની દ્રષ્ટિએ ભારે મહત્વ હોય છે. એક વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે. ચૈત્ર અને આસો માસના શુક્લ પક્ષની એકમથી નોમ સુધી પડતી નવરાત્રી ભારે લોકપ્રિય હોય છે અને તેને જ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અષાઢ અને માહ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે જેને તંત્ર સાધના કરતા લોકો ઉજવે છે. પરંતુ સિદ્ધિ સાધના માટે શારદીય નવરાત્રિ વિશેષ રૂપે મનાવવામાં આવે છે. આ નવ દિવસમાં કેટલાય લોકો ગૃહ પ્રવેશ કરે છે, નવી ગાડી ખરીદે છે અેન સાથે જ વિવાહ જેવા શુભ કાર્યો સમેટવાનો પ્રયાસ કરે છે. કેમ કે માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસ એટલા શુભ હોય છે કે આ દરમિયાન કરવામાં આવનાર કોઈપણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી.