ઓપરેશન બ્લુ સ્ટારઃ ક્યારે, ક્યાં, કેવી રીતે થયું ? જાણો આખી કહાની
‘ઓપરેશન બ્લુ સ્ટાર’ ભારતીય સૈન્ય દ્વારા અમૃતસરના હરિમંદિર સાહિબ પરિસરમાં ઘૂસેલા ખાલિસ્તાન સમર્થક જનરૈલસિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકોને હાંકી કાઢવા માટે ચલાવેયલું અભિયાન હતું.
'ઓપરેશન બ્લુ સ્ટાર’ ભારતીય સૈન્ય દ્વારા અમૃતસરના હરિમંદિર સાહિબ પરિસરમાં ઘૂસેલા ખાલિસ્તાન સમર્થક જનરૈલસિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકોને હાંકી કાઢવા માટે ચલાવેયલું અભિયાન હતું. ભારતના ઈતિહાસની આ એક એવી ઘટના છે, જે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના મોતનું નિમિત્ત બની, કારણ કે ઓપરેશન બ્લુ સ્ટારના નિર્ણયને કારણે જ ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. જેણે દેશના રાજકારણની દિશા બદલી નાખી.
કેમ ચલાવાયું હતું ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ ?
‘ઓપરેશન બ્લુ સ્ટાર' એવા લોકોના ખાત્મા માટે ચલાવાયું હતુ, જે અલગાવવાદી વિચારધારાને જન્મ આપી રહ્યા હતા. પંજાબમાં અલગ રાજ્યની માગ ઉભી થઈ રહી હતી. પંજાબની આ સમસ્યાની શરૂઆત 1970માં અકાલી રાજકારણમાં ખેંચતાણ અને અકાલીઓની પંજાબ અંગેની માગને લઈ શરૂ થઈ હતી. પહેલા 1973 અને પછી 1978માં અકાલી દળે આનંદપુર સાહિબ પ્રસ્તાવ પસાર કર્યો. મૂળ પ્રસ્તાવમાં કહેવાયું હતું કે કેન્દ્ર સરકાર ફક્ત સંરક્ષણ, વિદેશ નીતિ, સંચાર અને નાણા પર જ અધિકાર રાખે, જ્યારે બાકીના વિષયો પર રાજ્યનો એકાધિકાર હોય. અકાલી એવું ઈચ્છતા હતા કે ઉત્તર ભારતમાં તેમને સ્વતંત્રતા મળે.
જનરૈલસિંહ ભિંડરાવાલે.... બદલ્યું પંજાબનું રાજકારણ
આ એ સમય હતો જ્યારે પંજાબમાં અકાલી દળ કોંગ્રેસના વિકલ્પ તરીકે સામે આવ્યો. જેના જવાબમાં ઈન્દિરા ગાંધીએ સરદાર જ્ઞાની જૈલસિંહને પંજાબમાં મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા. જૈલ સિંહનું ઉદ્દેશ્ય એક જ હતું, શીખોના રાજાકરણમાં શિરોમણી અકાલી દળનું વર્ચસ્વ ઘટાડવું. આ તમામ સ્થિતિ વચ્ચે એક શખ્સ ઉભરીને સામે આવ્યો, જેનું નામ હતું જરનૈલસિંહ ભિંડરાવાલે. ભિંડરાવાલેને અકાલી દળનો સામનો કરવા માટે સામે લવાયા હતા, પરંતુ પાછળથી તે સરકાર માટે જ પડકાર બન્યા.
13 અકાલી કાર્યકર્તાઓના થયા મોત
જૈલસિંહ અને દરબારા સિંહે ભિંડરાવાલેને પ્રોત્સાહન આપ્યું, જ્યારે તેમના પર સંજય ગાંધીના ચાર હાથ હતા, તો જરનૈલસિંહ ભિંડરાવાલે પંજાબના અઘોષિત રાજા બની બેઠા. પરંતુ ત્યારે સરકારે એ નહોતું વિચાર્યું કે જેને તેઓ ટેકો આપી રહ્યા છે, તે જ એક દિવસ મુશ્કેલી બનશે, વાતાવરણ બગાડશે અને આતંકવાદનો રસ્તો અપનાવશે. ધીર ધીરે ભિંડરાવાલેની લોકપ્રિયતા વધતી હતી. 1877માં તેમને દમદમી ટંકશાળના અધ્યક્ષ બનાવાયા. આ દરમિયાન અમૃતસરમાં 13 એપ્રિલ, 1978માં અકાલી કાર્યકર્તાઓ અને નિરંકારિયો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં 13 અકાલી કાર્યકર્તાઓના મોત નીપજ્યા. આ અથડામણ બાદ 24 એપ્રિલ, 1989ના રોજ નિરંકારિયોના પ્રમુખ બાબા ગુરબચનસિંહની હત્યા થઈ. જેમાં સંડોવાયેલા મોટા ભાગના લોકોનો સંબંધ ભિંડરાવાલે સાથે હતો.
ઈન્દિરા ગાંધીના નિર્ણયનો થયો વિરોધ
આ દરમિયાન 1980ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને જબરજસ્ત વિજય મળ્યો. લોકસભાની 529માંથી 351 સીટ કોંગ્રેસ જીતી હતી. જ્ઞાની જૈલસિંહને પીએમ ઈન્દિરા ગાંધીએ ગૃહ મંત્રી બનાવ્યા. આ તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અકાલી દળને પરાજય આપ્યો. પંજાબમાં દરબારાસિંહને મુખ્યમંત્રી બનાવાયા. આ ઘટના બાદ અકાલીઓ અને દરબારાસિંહ સરકાર વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો. વસ્તી ગણતરી વખતે જ્યારે લોકોને ધર્મ અને ભાષા પૂછવામાં આવતી હતી, ત્યારે અખબાર પંજાબ કેસરીએ હિંદીને લઈ ઝુંબેશ શરૂ કરી. જેને પગલે માહોલ વધુ બગડ્યો. હિંદીની ઝુંબેશથી કટ્ટર શીખ લોકો નારાજ થયા. તેમાં ભિંડરાવાલે પણ સામેલ હતા, અને અહીંથી જ ઈન્દિરા ગાંધીના નિર્ણયના વિરોધની શરૂઆત થઈ.
જરનૈલસિંહ ભિંડરાવાલે પર લાગ્યો હત્યાનો આરોપ
આ દરમિયાન 9 સપ્ટેમ્બર, 1981ના રોજ હથિયારધારી લોકોએ પંજાબ કેસરીના સંપાદક લાલા જગત નારાયણી ગોળી મારીને હત્યા કરી, જેનો આરોપ જરનૈલસિંહ ભિંડરાવાલે પર લાગ્યો. લાલા જગત નારાયણની હત્યા બાદ 15 સપ્ટેમ્બરના રોજ અમૃતસરની ગુરુદ્વાર ગુરદર્શન પ્રકાશમાંથી ભિંડરાવાલેની ધરપકડ થઈ, પરંતુ પુરાવાના અભાવે તેમને જામીન મળ્યા. આ દરમિયાન પંજાબને અલગ દેશ બનાવવાની માગ ઉગ્ર બની. હિંસા થઈ અને પંજાબના ડીઆઈજી એ એસ અટવાલની હત્યા સુવર્ણ મંદિરના પગથિયા પર થઈ. અટવાલનો મૃતદેહ કલાકો સુધી સુવર્ણ મંદિરના પગથિયા પર પડ્યો રહ્યો, તેમના મૃતદેહને હટાવવા માટે મુખ્યમંત્રી દરબારાસિંહે જરનૈલસિંહ ભિંડરાવાલેને વિનંતી કરવી પડી હતી.
ભિંડરાવાલે વિરુદ્ધ કડક પગલા નહોતા લઈ શક્તા ઈન્દિરા ગાંધી
પંજાબમાં સ્થિતિ કથળી રહી હતી. અકાલી પણ વિરોધ કરી રહ્યા હતા. અનંતપુર સાહબના રિઝોલ્યુશેનને પસાર કરવા માગ ઉઠી. 5 ઓક્ટોબર, 1983ના રોજ શીખ ચરમંથીઓએ કપૂરથલાથી જલંધર જતી બસ અટકાવી, બસમાં સવાર હિંદુ મુસાફરોની હત્યા કરી, બાદમાં સામે આવ્યું કે આ ચરમપંથીઓને પાકિસ્તાનનો ટેકો હતો. આ ઘટનાના બીજા દિવસે ઈન્દિરા ગાંધઈએ દરબારાસિંહની સરકાર બરખાસ્ત કરી, અને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયું. પરંતુ પંજાબમાં હિંસા ન અટકી. ઈન્દિરા ગાંધી ભિંડરાવાલે વિરુદ્ધ અસર ઉભી કરે તેવા પગલાં નહોતા લઈ શક્તા.
15 ડિસેમ્બર, 1983, ભિડરાવાલેએ અકાલ તખ્ત પર કબજો કર્યો
15 ડિસેમ્બર, 1983ના રોજ ભિંડરાવાલેએ પોતાના હથિયારબંધ સાથીદારો સાથે સ્વર્ણ મંદિરના અકાલ તખ્ત પર કબજો કર્યો. અકાલ તખ્ત એક એવું સિંહાસન છે, જે અનંતકાળ માટે બનેલું છે. ભિંડરાવાલે ઈચ્છતા હતા કે હિંદુઓ પંજાબ છોડી દે. દિલ્હી સરકાર માટે આ સીધો પડકાર હતો. અને ઈન્દિરા ગાંધીએ એક મોટો નિર્ણય લીધો. તેમણે 1 જૂન, 1984ના રોજ પંજાબને સેનાના હાલે કરી દીધું. જેનો કોડવર્ડ હતો ‘ઓપરેશન બ્લુ સ્ટાર'.
‘ઓપરેશન બ્લુ સ્ટાર’ની આગેવાની મેજર જનરલ કુલદીપસિંહ બરારે લીધી
‘ઓપરેશન બ્લુ સ્ટાર'ની જવબાદારી મેજર જનરલ કુલદીપસિંહ બરારને સોંપાઈ. 3 જૂનના રોજ અમૃતસરમાંથી પત્રકારોને બહાર મોકલી દેવાયા. પાકિસ્તાન બોર્ડર સીલ કરી દેવાઈ. મંદિર પરિસરમાં રહેલા લોકોને બહાર મોકલી દેવાયા. 5 જૂને 7 વાગે ફક્ત 129 લોકો જ બહાર નીકળી શક્યા. લોકોનું કહેવું હતું કે ભિંડરાવાલેના સાથીદારો તેમને બહાર નથી આવવા દઈ રહ્યા. 5 જૂન, 1984ના રોજ સાંજે 7 વાગે સૈન્યએ કાર્યવાહી શરૂ કરી. રાતભર બંને તરફથી ફાયરિંગ થયું. કેટલીક ગોળીઓ હરિમંદિર સાહિબ તરફ પણ ગઈ. અકાલ તખ્તને પણ નુક્સાન થયું. 6 જૂને મોડી રાત્રે સૈન્યને જરનૈલસિંહ ભિંડરાવાલેનો મૃતદેહ મળ્યો. 7 જૂને સવારે ‘ઓપરેશન બ્લુ સ્ટાર' સમાપ્ત થઈ ગયું. આ ઓપરેશનમાં સૈન્યના 83 જવાનો શહીદ થયા. જેમાં સૈન્યના ત્રણ અધિકારીઓ પણ સામેલ હતા. જ્યારે આતંકીઓ અને અન્ય સહિત 492 લોકોના મોત થયા હતા.
ઈન્દિરા ગાંધીની હત્યા
‘ઓપરેશન બ્લુ સ્ટાર' બાદ ઈન્દિરા ગાંધીથી નારાજ તેમના શીખ બોડીગાર્ડોએ તેમની હત્યા કરી. અને પછી શીખો વિરુદ્ધ રમખાણોમાં કત્લેઆમ થઈ, જે દેશના ઇતિહાસનું એક કાળુ પાનું છે. આ કત્લેઆમ આજે પણ લોકોને ધ્રુજાવી દે છે.