શા માટે અહીં દશેરાના છ દિવસ બાદ થાય છે રાવણ દહન?
લખનઉ, 18 ઓક્ટોબરઃ બુરાઇનું પ્રતિક મનાતા રાવણના પૂતળાનું દેશ ભરમાં દશેરાના દિવસે દહન કરવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક કસબામાં રાવણ દશેરાના છ દિવસ પછી પણ જીવીત રહે છે. એટલે કે દશેરાના દસ દિવસ પછી આ કસબામાં રાવણ દહન કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં ભારતના કોઇપણ ખૂણામાં જઇએ, બોલી અને રહેણી કહેણી અલગ હોવા છતાં પણ દશેરાના દિવસે ભારત ભરમાં રાવણ દહન દશેરાના દિવસે જ કરવામાં આવે છે, જો કે, આ ગામની પરંપરા કંઇક અલગ છે.
ઉત્તર પ્રદેશના લખનઉથી અંદાજે 60 કિમી દૂર ઉન્નાવ જિલ્લાના અચલગંજ કસબામાં દશેરાના છ દિવસ બાદ રાવણના પૂતળાનું દહન કરવાની પરપંરા વર્ષોથી ચાલી આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અચલગંજ પૂજા સમિતિ દ્વારા આ અનોખી પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે અંદાજે સો વર્ષથી ચાલતી આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ અનોખી પરંપરા અગે.
શું કહે છે, અચલગંજ પૂજા સમિતિના મહામંત્રી?
અચલગંજ પૂજા સમિતિના મહામંત્રી મોતીલાલ ગુપ્તાએ આ અંગે જણાવ્યું છે કે, પૂજા સમિતિની રચના બાદ પહેલીવાર આપસી સહયોગથી ભંડોળ એકઠું કરીને દૂર્ગા પૂજા અને દશેરાનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂર્ગા પૂજાના આયોજન સમયે એટલો ખર્ચો થઇ ગયો હતો કે સમિતિ પાસે પૈસાની તંગી સર્જાઇ હતી.
દશેરાના દિવસે ના થઇ શક્યુ રાવણ દહન
તેમણે જણાવ્યું કે, દૂર્ગા પૂજા તો જેમ તેમ કરીને પૂર્ણ કરવામાં આવી પરંતુ પૈસાની તંગીના કારણે વિજયાદશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરી શકાયું નહોતું.
ફરીથી મંગાઇ લોકોની મદદ
સમિતિના સભ્યોની એક બેઠક મળી અને ફરીથી લોકો પાસેથી આર્થિક મદદ લેવામાં આવી હતી. ચાર પાંચ દિવસ બાદ પૈસા એકઠાં થયા બાદ રાવણ દહન કરવામાં આવ્યું હતું.
ત્યારથી ચાલી આવી છે આ પરંપરા
તેમણે કહ્યું કે, બસ ત્યારથી અચલગંજ ગામમાં આ અનોખી પરંપરા ચાલી આી છે અને દર વર્ષે દશેરાના છ દિવસ પછી જ અહીં રાવણ દહન કરવામાં આવે છે.
20મી ઓક્ટોબરે કરાશે રાવણ દહન
આ વર્ષે અચલગંજમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન 20 ઓક્ટોબરે કરવામાં આવશે.
અચલગંજ સિવાય ક્યાંય નહીં થતું હોય આ રીતે પૂતળા દહન
સ્થાનિક નિવાસી વિકાસ તિવારીના જણાવ્યા પ્રમાણે અચલગંજ સિવાય અન્ય કોઇપણ સ્થળે આ રીતે દશેરાના છ દિવસ બાદ રાવણ દહન નહીં કરવામાં આવતું હોય.