દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી ઊઠતા 10 સવાલો...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. પરિણામો એક્ઝિટ પોલ કરતા વિપરિત જ આવ્યા, કેમ કે એક્ઝિટ પોલમાં ભાજપને પણ 20 બેઠકોથી ઉપર બેઠકો મળતી અંદાજવામાં આવી હતી પરંતુ પરિણામો કંઇક જુદા જ અને ચોંકાવનારા આવ્યા. પરિણામોમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને કુલ 67 બેઠકો મળી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 3 બેઠકો ગઇ. જ્યારે આ વખતની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ પર એવું ઝાડું ફેરવ્યું કે તેનું નામો નિશાન ના રહ્યું, કોંગ્રેસ એક પણ બેઠક પર પોતાની જીત નોંધાવી ના શકી.
એક્ઝિટ પોલ અને વિશ્લેષકો સ્પષ્ટ મત ધરાવતા હતા કે આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવશે પરંતુ આટલા મોટા અંતરથી તે જીત નોંધાવશે તે અનપેક્ષિત હતું. ખુદ કેજરીવાલ અને તેમની ટીમે પણ 67 જેટલી બેઠકો જીતવાનું સપનુ ન્હોતું જોયું. પરંતુ દિલ્હીની જનતાએ તેમની પર ભરપૂર વિશ્વાસ મૂકીને તેમની પર મતોની દયા વરસાવી છે. હવે પરીક્ષા કેજરીવાલ અને તેમની ટીમની છે.
પરિણામો તો સારા આવી ગયા, જીત પણ નોંધાવી દીધી, આપ પાર્ટી પોતાની બહુમતી પણ દર્શાવી દીધી છે અને તે સરકાર બનાવવા રાજ્યપાલ સમક્ષ હાજર પણ થશે, આપે સપથ લેવા માટે તારીખ 14 ફેબ્રુઆરી નક્કી કરી લીધી છે. તેઓ શપથ રામલીલા મેદાનમાં જ લેશે, જ્યાથી જેમણે પોતાના યુદ્ધની શરૂઆત કરી હતી. કેજરીવાલ મુખ્યમંત્રી પણ બની જશે પરંતુ આ બધાની વચ્ચે ઘણા સવાલો ઊઠે છે કે શું કેજરીવાલ સફળ મુખ્યમંત્રી બની શકશે? તેઓ દિલ્હીમાં સુશાસન કરી શકશે? શું તેઓ દિલ્હીવાસીઓને આપેલા વચનોને પૂરા કરી શકશે? વગેરે વગેરે...
આ ઉપરાંત અન્ય ઘણા સવાલો દિલ્હીના પરિણામોને જોતા ઊઠે છે, આવો એક નજર કરીએ આ સવાલો પર...
મોદીના 9 મહિના સામે કેજરીવાલના 49 દિવસ ભારે પડ્યા?
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સત્તા સંભાળ્યાને 9 મહિના થઇ ગયા. મોદી હંમેશાથી વિકાસનો મુદ્દો લઇને ચાલ્યા છે. અને વિકાસના મુદ્દાના પગલે જ મોદીને લોકસભામાં જંગી બહુમતી મળી હતી. મોદીના 9 મહિનાનું સાશન પણ સારુ જ રહ્યું છે. જ્યારે કેજરીવાલે દિલ્હીમાં માત્ર 49 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. તો શું મોદીના 9 મહિના સામે કેજરીવાલના માત્ર 49 દિવસ ભારે પડી ગયા, કે એમને આટલી જંગી બહુમતી મળી?
શું મોદી લહેર ઓસરી ગઇ?
દિલ્હીમાં ભાજપના ફાળે માત્ર 3 જ બેઠક આવી. આવું પરિણામ ખુદ ભાજપે પણ ન્હોતું વિચાર્યું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ્યા હતા. મોદી લહેરના પગલે તેમને લોકસભાની ચૂંટણીમાં 300 થી વધારે બેઠકો મળી હતી, પરંતુ દિલ્હીમાં માત્ર 3 જ બેઠકો જ કેમ આવી? શું મોદી લહેર ઓસરી ગઇ છે?
હિન્દુ રાષ્ટ્ર, ધર્માંતરણ ભાજપને લઇ ડૂબ્યું?
વીએચપી અને આરએસએસ દ્વારા દેશભરમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું અભિયાન અને 'ઘર વાપસી'ના નામે લઘુમતીઓને હિન્દુ ધર્મ અંગીકાર કરાવવાની ઝૂંબેશ શું ભાજપને લઇ ડૂબી? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનો વિશે કે તેમના સાંસદો દ્વારા કરવામાં આવેલા સાંપ્રદાયિક ટિપ્પણીઓ, ચાર-ચાર કે દસ-દસ બાળકો પેદા કરવાની હાકલ વગેરે પર ચુપકીદી સાધી રાખી, જેના કારણે પણ તેમને આ પરિણામ ભોગવવું પડ્યું હોય તેવું લાગે છે.
શું ભાજપે 'આપ'ને હળવાશથી લીધું?
લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી, ત્યારબાદ મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા વગેરે રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. જમ્મુ અને કાશ્મીરમાં પણ સારી એવી બેઠકો મેળવી. આ દરેકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો. જેના પગલે તેઓ નિશ્ચિત હતા કે મોદી પ્રચાર કરશે એટલે તેમની સરકાર દિલ્હીમાં ચોક્કસ બનશે, ભાજપનો આવો જ ભાવ અને અહંકાર તેમને લઇ ડૂબ્યો.
ભાજપ દ્વારા કેજરીવાલના ગોત્ર પર હુમલો?
દિલ્હીના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા કેજરીવાલ પર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા, પોતાના ભાષણોમાં, પોસ્ટરોમાં, જાહેરાતોમાં તેમણે કેજરીવાલ પર જોરદાર પ્રહારો કર્યા. પરંતુ જ્યારે ભાજપે પોતાની જાહેતામાં કેજરીવાલના ગોત્ર પર પ્રહાર કર્યો, તો કેજરીવાલે જણાવ્યું કે તમે મારા પર મારા પરિવાર પર આંગળી ઊઠાવો એનો મને વાંધો નથી પરંતુ તમે મારા લીધા મારા આખા અગ્રવાલ સમાજ પર પ્રહાર કરો તેની સામે મને વાંધો છે, બની શકે છે કે કેજરીવાલને અહીં ચોક્કસ ફાયદો થયો હશે.
બુખારીના ફતવાથી આપને વધારે ફાયદો થયો?
જામા મસ્જીદના શાહી ઇમામ સઇદ અહેમદ બુખારીએ ફતવો જાહેર કરતા મુસ્લીમ ભાઇ-બહેનોને આપને વિજય બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે અન્ય પાર્ટીઓને ભ્રષ્ટાચારી અને સાંપ્રદાયિક ગણાવીને તેમને નકારી કાઢવા જણાવ્યું હતું. જેના કારણે પણ આપને મુસ્લીમ વોટોનો ફાયદો થયો હોય તેવું લાગે છે.
કેજરીવાલને કયા મુદ્દાઓ પર આટલું જંગી મેન્ડેટ મળ્યું?
કેજરીવાલે હિન્દુ, મુસ્લિમની રાજનીતિમાં નહીં પડતા, લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પોતાના ચૂંટણી મુદ્દા બનાવ્યા. જેમકે વીજળી, પાળી, અન્ન વગેરેમાં રાહત આપવાનું તેમણે વચન આપ્યું અને દિલ્હીવાસીઓનું જંગી બહુમત મેળવ્યું.
કેજરીવાલ એક સફળ મુખ્યમંત્રી બની શકશે?
દિલ્હીવાસીઓ તરફથી જંગી બહુમતી તો મળી ગઇ, 14 ફેબ્રુઆરીએ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગ્રહણ કરી લેશે. પરંતુ સવાલ એ પેદા થાય છે કે શું કેજરીવાલ મુખ્યમંત્રી તરીસે દિલ્હીમાં સુશાસન લાવી શકશે, તેઓ સફળ મુખ્યમંત્રી બની શકશે? કેમ કે કેજરીવાલને આ પહેલા સત્તા સંભાળવાનો માત્ર 49 દિવસનો જ અનુભવ છે.
શું કેજરીવાલ દિલ્હીવાસીયોને આપેલા વચન પૂરા કરી શકશે?
કેજરીવાલે દિલ્હીમાં લોકોનું મેન્ડેટ મેળવવા મોટા મોટા વચનો તો આપી દીધા, અને લોકોએ તેમની પર ભરપૂર વિશ્વાસ પણ કરી લીધો. પરંતુ હવે સવાલ એ ઊઠે છે કે શું કેજરીવાલ લોકોને આપેલા વચનો પૂરા કરી શકશે? શું કેજરીવાલ લોકોને વીજળી બીલમાં રાહત, 700 લીટર મફત પાણી, ઝોપડપટ્ટીયોને મકાન, અને ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસરની બનાવી શકશે?
કેમ કોંગ્રેસને એક પણ બેઠક ના મળી?
દિલ્હી વિધાનસભાના પરિણામોમાં સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે, છેલ્લા 15 વર્ષથી દિલ્હી પર પોતાનું એક ચક્રી શાસન ચલાવનાર કોંગ્રેસ પર આપનું એવું તે ઝાડુ ફર્યું કે તે પોતાની શાખ પણ બચાવી ના શકી. દિલ્હીવાસીઓએ આપને ત્રીજા વિકલ્પ તરીકે પસંદ કરી લીધું છે. ભ્રષ્ટાચારમાં લીપ્ત કોંગ્રેસને દિલ્હીવાસીઓએ સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.