સાત્વિક બનવા અને બ્રહ્મચર્ય પાળવા કારતક મહિનો છે શ્રેષ્ઠ, જાણો નિયમ
હિન્દુ શાસ્ત્રોમાં 12 મહિનાઓમાંથી કારતક માસને શ્રેષ્ઠ અને અત્યંત પવિત્ર મહિનાનો દરજ્જો અપાયો છે. આ આખા મહિનામાં વ્રત, દાન, પુણ્ય, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
હિન્દુ શાસ્ત્રોમાં 12 મહિનાઓમાંથી કારતક માસને શ્રેષ્ઠ અને અત્યંત પવિત્ર મહિનાનો દરજ્જો અપાયો છે. આ આખા મહિનામાં વ્રત, દાન, પુણ્ય, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન વિષ્ણુ અને શિવ બંનેને અત્યંત પ્રિય છે.
શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે વ્યક્તિ કારતક મહિનામાં વ્રત, તપ, મંત્ર, જાપ, દાન-પુણ્ય અને દીપ દાન કરે છે, તે જીવે ત્યાં સુધી પૃથ્વી પર તમામ સુખ ભોગવે છે, અને મૃત્યુ બાદ વૈકુંઠવાસી બને છે.
આ પણ વાંચો: 4 યુગ, 84 લાખ યોની, સંસારની ઉત્પત્તિ અને અંત વિશે જાણો અહીં
પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદને અને નારદે મહારાજ પૃથુને કારતક માસના સર્વગુણ સંપન્ના માહાત્મ્ય વિશે જણાવ્યું હતું. કારતક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમોનો ઉલ્લેખ છે. જો કોઈ વ્યક્તિ તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ છે નિયમો....
તારા સ્નાન
કારતક મહિનાના તમામ દિવસોમાં સૂર્યોદય પૂર્વે અને સંધ્યાકાળ દરમિયાન સ્નાન કરવાને અત્યંત પવિત્ર મનાયું છે. તેને તારા સ્નાન કહેવાય છે. એટલે કે વહેલી સવારે આકાશમાં તારા દેખાય ત્યારે અને સાંજે આકાશમાં તારાનો ઉદય થાય ત્યારે સ્નાન કરવું. કારતક મહિના દરમિયાન રોજ સૂર્યોદય પહેલા અને સંધ્યાકાળ બાદ કરેલું સ્નાન એક હજાર વખત ગંગા સ્નાન જેટલું ફળ આપે છે.
દીપદાન
ધર્મશાસ્ત્રો અનુસાર કારતક મહિનામાં સૌથી મુખ્ય કામ દીપદાન કરવાનું છે. આ મહિનામાં નદી, તળાવ, કૂવામાં દીપદાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્ત થાય છે.
તુલસી પૂજા
આ મહિનામાં તુલસી પૂજન કરવાનું તેમ જ તુલસી સેવન કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો દરેક મહિનામાં તુલસીનું સેવન તેમ જ પૂજા શ્રેયસ્કર હોય છે. પરંતુ કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ અનેક ગણું વધુ મનાયું છે.
જમીન પર સુવું
કારતક મહિનામાં ત્રીજું મહત્વનું કામ મનાયું છે જમીન પર સુવું. જમીન પર સૂવાથી મનમાં સાત્વિક્તાનો આવે છે અને વિકાર સમાપ્ત થાય છે.
તેલ ન લગાવવું
કારતક મહિનામાં ફક્ત એક જ દિવસે નરક ચૌદશના દિવસે જ શરીર પર તેલ લગાવવું જોઈએ. કારતક મહિનાના બાકીના દિવસોમાં શરીર પર તેલ લગાવવું વર્જિત છે.
દાળ ખાવાનો નિષેધ
આ મહિનામાં દ્વિદલન એટલે કે અડદ, મગ, મસૂર, ચણા, વટાણા, રાઈ ન આરોગવું જોઈએ.
બ્રહ્મચર્યનું પાલન
કારતક મહિનામાં બ્રહ્મચર્યનું પાલન અતિ આવશ્યક છે. બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી પતિ-પત્ની પર દોષ લાગે છે અને અશુભ ફળ મળે છે.
સંયમ રાખો
કારતક માસ દરમિયાન વ્રત કરનાર લોકોએ તપસ્વીની જેમ વર્તવું જોઈએ. એટલે કે ઓછું બોલો, કોઈની નિંદા ન કરો, ઝઘડો ન કરો, મન પર સંયમ રાખો વગેરે.