આપણે જંગલ બુક ફિલ્મથી શું શીખવું જોઇએ?
નાનપણમાં આપણને દાદા દાદી કે માતા પિતા હંમેશા તેવી વાર્તાઓ કહેતા જેનાથી આપણને કંઇક બોધપાઠ મળે. પંચતંત્ર જેવી આવી જ વાર્તાઓના બોધપાઠના કારણે નાનપણમાં આપણે આ દુનિયા અને તેના સંબંધો વિષે સાચી ઓળખ મેળવતા થયા છીએ. પહેલાના સમયમાં આપણને પુસ્તકો માહિતી આપતા અને આજે આ વસ્તુનું સ્થાન કેટલાક અંશે ફિલ્મોએ લઇ લીધુ છે.
હાલમાં જ રિલિઝ થયેલ ફિલ્મ જંગલ બુક પણ કંઇક આવી જ ફિલ્મ છે. આ ફિલ્મ આજે પણ થિયેરટોમાં ધૂમ કમાણી કરી રહી છે. કદાચ તમે પણ આ ફિલ્મ થિયેટરમાં જોઇ હશે. ત્યારે આ ફિલ્મથી શું શીખવા જેવું છે જે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....
પ્રાણીઓ માટે પ્રેમ
પ્રાણીઓ ભલે માણસની જેમ બોલી નથી શકતા પણ તેમને તેમના પ્રેમને દર્શાવવા માટે ભાષા જરૂર બિલકુલ નથી. પ્રાણીઓ માણસોની જેમ મારું તમારું કરવામાં નથી માનતા તે આપણને બિનશર્તી પ્રેમ કરે છે. જે આપણને આપણા પાતળૂ પ્રાણીના પ્રેમની યાદ અપાવે છે.
સંબંધો અને એકબીજાની જરૂરિયાત
આ ફિલ્મમાં બલ્લુ રીંછે મોગલીના પ્રાણ બચાવ્યા અને તેને મધ મેળવવામાં સહાય કરવા માટે મદદ માંગી. જે આપણને સહજીવનના સંબંધોનો પાઠ ભણાવે છે. આપણે એકબીજા પર કોઇને કોઇ રીતે આધાર રાખીએ છીએ. કોઇ પણ વ્યક્તિ બધુ જાતે નથી કરી શકતો, કોઇ આપણા માટે ખેતી કરે છે કોઇ આપણા માટે દેશની સેવા કરે છે. બધાની થોડી થોડી મદદથી આપણે છીએ અને આપણી થોડી મદદથી તે લોકો છે અને આ જ જીવનનો આધાર છે.
પાપી પોતાની કબર પોતે ખોદે છે
શેરખાન મોગલીને જંગલની આગમાં બાળવા માંગે છે અને પોતે જ મરી જાય છે. જે બતાવે છે કે આપણા જ પાપ આપણને મારે છે. લાલચ, આળસ, ઇર્ષા અને ગુસ્સા જેવી બુરાઇઓ આપણો જ અંત નોતરે છે.
મીઠા બોલાથી બચો
કા નામનો અજગર તેની મીઠી વાણીથી મોગલીને ફસાવીને મારવા જાય છે. આ બતાવે છે કે દુનિયામાં આવા અનેક લોકો છે જે મીઠા બોલા છે. જે મીઠી મીઠી વાતો કરીને આપણું નુક્શાન કરે છે આવા લોકોની સાચી ઓળખ કરવી અને તેમનાથી દૂર રહેવું જરૂરી છે.
નિસ્વાર્થ
બગીરા નામના પેન્થરની ભૂમિકા આ આખી ફિલ્મમાં અને મોગલીના જીવનમાં મહત્વપૂર્ણ રહી હતી. તેણે જે પણ નિર્ણયો કર્યા તે હંમેશા મોગલીને બચાવવા માટે કર્યા. જે આપણને પ્રેમ કરતા શીખવે છે. જ્યારે પણ તમે કોઇને પ્રેમ કર્યો તો નિસ્વાર્થ ભાવે કરો. પોતાના સુખ માટે નહીં બીજાના સુખમાં સુખી થતા શીખો.
લાલચથી બચો
આ ફિલ્મમાં મોગલીનું વાંદરાઓ અપહરણ કરી લે છે. કારણ કે તેમને લાગે છે કે મોગલી તેમને રેડ ફ્લાવર (આગ) આપશે જેથી તે વધુ શક્તિશાળી થઇ જશે પણ તેમની લાલચ જ તેમનો વિનાશ નોતરે છે જે બતાવે છે કે વધુ હંમેશા માટે સારું નથી હોતું.
જીવનમાં સુમેળ જરૂરી છે
જંગલમાં જાત જાતનો પ્રાણીઓ રહે છે. પણ તેમ છતાં તે એકબીજા સાથે સુમેળથી રહે છે. તમામ પ્રાણી એક જ જગ્યાએ પાણી પીવા આવે છે. જે શીખવે છે કે જીવનમાં પણ આપણને અનેક લોકોની વચ્ચે રહેવાનું હોય છે અને જ્યાં સુધી આપણે તેમની વચ્ચે સુમેળ રાખી શકીએ છીએ ત્યાં સુધી તે આપણા માટે સારું છે.
જંગલ છે તો જીવન છે
આજે આપણે ગરમી ગરમી કરીએ છીએ. પણ કોંક્રિટનું આ જંગલ આપણે જ બનાવ્યું છે. જંગલ, વૃક્ષો આ પ્રાણીઓથી આપણા જીવનની કડી જોડાયેલી છે અને જંગલ અને તેના પ્રાણી અને વૃક્ષોનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે.