તારક મહેતા: 80 પુસ્તકો, અગણિત હાસ્ય અને 1 માણસ
ગુજરાતી સાહિત્યના આ લોકલાડીલા હાસ્યલેખક તારક મહેતા વિશેની કેટલીક જાણી-અજાણી વાતો વાંચો અહીં..
ગુજરાતી સાહિત્ય ના જાણીતા અને માનીતા લેખક તારક મહેતા નું આજે અમદાવાદ માં લાંબી બીમારી બાદ નિધન થયું છે. 'તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા' સિરિયલથી તેઓ સમગ્ર ભારતમાં જાણીતા થયા હતા. ગુજરાતી સાહિત્યના આ લોકલાડીલા હાસ્યલેખક વિશેની કેટલીક જાણી-અજાણી વાતો વાંચો અહીં..
કોણ હતા તારક મહેતા?
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય ક્ષેત્રે સૌથી જાણીતું નામ એટલે તારક મહેતા. દુનિયાને હસતા હસતા ઊંધા ચશ્મા પહેરવનાર વ્યક્તિ એટલે તારક મહેતા. ગુજરાતી સાહિત્યના એર.કે.લક્ષ્મણ એટલે તારક મહેતા.તારક જનુભાઇ મહેતાનો જન્મ 26 ડિસેમ્બર 1929ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.તારક મહેતાના અત્યાર સુધીમાં 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.તેમને ખરી પ્રસિદ્ધિ મળી તેમની લોકપ્રિય કોલમ દુનિયાને ઊંધા ચશ્માથી. વર્ષ 1971થી તેઓ આ કોલમ લખતા હતા. આ સિવાય તેઓ 1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઇમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી તરીકે પણ કામ કર્યું હતું.
દુનિયાને ઊંધા ચશ્મા
ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખકોની શ્રેણીમાં જ્યોતિન્દ્ર દવે શ્રેષ્ઠ મનાતા અને ત્યાર બાદ તારક મહેતાનું નામ આવતું. તારક મહેતાની લેખનશૈલી ખૂબ મૌલિક હતી. વર્ષ 1970માં જ્યારે તેમણે ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્મા લેખ લખવાની શરૂઆત કરી હતી, ત્યારથી લઇને આજ દિન સુધી તેઓ લેખ સાથે જોડાયેલા હતા. ચિત્રલેખા સામાયિક પ્રકાશિત થયું ત્યારે તારક મહેતાની આ કોલમને કારણે જ ખૂબ પ્રખ્યાત થયું હતું. હાસ્યલેખો અને તારક મહેતા જાણે બે અભિન્ન અંગ હતા. તેમની ખાસિયત એ હતી કે, તેઓ હંમેશા લેખની શરૂઆત સમાચારની તત્કાલિન ઘટનાઓને લઇને કરતાં, દેશનો ગમે એટલો વિકટ પ્રશ્ન કેમ ન હોય, તારક મહેતા હંમેશા તેને રમૂજી શૈલીમાં ઢાળી શકતા. રાજકારણને રમૂજી રીતે રજૂ કરવાની નિરાળી શૈલીને લીધે જ તેમની તુલના કાર્ટનિસ્ટ આર.કે.લક્ષ્મણ સાથે કરવામાં આવતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
વર્ષ 2008માં જ્યારે 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા' સિરિયલનું પ્રસારણ ટીવી પર શરૂ થયું ત્યારે તારક મહેતાના પાત્રો જેઠાલાલ, દયા, ટપુ જાણે ઘરઘરમાં જીવંત બન્યા. તારક મહેતાના લેખ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી પ્રેરિત આ સિરિયલથી તેમને અઢળક પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ. જ્યારે સૌ પ્રથમ તેમની સામે 'દુનિયાને ઊંધા ચશ્મા' કોલમ પરથી સિરિયલ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે ખૂબ વિનમ્રતા સાથે તેમણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. સિરિયલ માટે અનુમતિ આપ્યા બાદ પણ તેઓ એના એપિસોડ લખવા માટે નહોતા માન્યા. સિરિયલ પ્રખ્યાત થયા બાદ પણ તેમણે પોતાના લખાણના મૂળ રૂપને વળગી રહેવાનું જ પસંદ કર્યું હતું. તેઓ અમદાવાદમાં નિવૃત્ત જીવન વિતાવતા હતા, આમ છતાં તેમણે 'દુનિયાને ઊંધા ચશ્મા' લેખ લખવાનું ચાલુ રાખ્યું હતું.
80 પુસ્તકો થયા છે પ્રકાશિત..
તારક મેહતાએ અનેક નાટકો અને હાસ્યનવલો લખી છે. તારક મહેતાના પ્રસિદ્ધ પુસ્તકોમાં દુનિયાને ઊંધા ચશ્મા, તારક મહેતાનો ટપુડો, ટપુડાનો તરખાટ જેવા હાસ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે મેઘજી પેથરાજ શાહઃ જીવન અને સિદ્ધિ નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. તેમણે એક્શન રિપ્લે નામ સાથે લખેલી આત્મકથા નિખાલસ કબુલાતના સંદર્ભે ખૂબ ઉલ્લેખનીય બની હતી. વર્ષ 2015માં તેમને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાવ બદલ પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
અહીં વાંચો