હોમિયોપેથિક દવાઓ લો છો, તો તેની આ સાઇડ ઇફેક્ટ પણ જાણો
સામાન્ય રીતે હોમિયોપેથિક દવાઓ વિષે માનવામાં આવે છે કે તે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી આપતી. અને તે એલોપેથિક દવાઓ કરતા લાખ દરજ્જે સેફ છે. પણ તેવું નથી. કહેવાય છે ને કે "અતિ સર્વત્ર નાશ કરે છે" તેવું જ કંઇક હોમિયોપેથિકમાં પણ છે.
સામાન્ય રીતે એલર્જિક બિમારીઓ, શરદી, ખાંસી જેવા રોગોમાં હોમિયોપેથિકને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વળી અનેક માતા-પિતા એલોપેથિક દવાઓના બદલે તેમના બાળકોને હોમિયોપેથિક દવાઓ ઓછી સાઇડ ઇફેક્ટના કારણે આપવાની વધુ પસંદ કરે છે. અને ગરીબ લોકો માટે તો હોમિયોપેથિક જ સસ્તાદરે સાજા થવાનો ઉપાય બની રહે છે.
ત્યારે જો તમે પણ હોમિયોપેથિક દવાઓ લેતા હોય તો એક વાતની ખાતરી કરી લેજો કે તમારા ડોક્ટરે આ અંગેની માનક અને સાચી ડિગ્રી મેળવી છે કે નહીં. અને સાથે જ હોમિયોપેથિક દવાઓ લેતી વખતે નીચેની વાતોનું પણ ધ્યાન રાખજો...
ગંભીર બિમારીઓ તાત્કાલિક રાહત નહીં મળે
સર્જરી કે પછી કોઇ ગંભીર બિમારીમાં તમને હોમિયોપેથિક દવાઓ તાત્કાલિક રાહત નહીં આપે. સામાન્ય રીતે હોમિયોપેથિક દવાઓ લાંબા ગાળે અસર કરે છે. ત્યારે આવી બિમારીઓ કે સર્જરીમાં તમે હોમિયોપેથિકનો સહારો લઇને બેઠા રહેશો તો તમારા જીવન માટે તમારો આ નિર્ણય ખતરનાક સાબિત થશે.
પાંડુરોગ, એનિમિયા
જો તમને ન્યૂટ્રિશનલ ડેફિશ્યન્સી એટલે કે વિટામિન કે આર્યનની ખામીના રોગ હોય તો હોમિયોપેથિક દવાઓ તમારા માટે બેકાર છે. તે પાડુંરોગ ,એનિમિયા, વિટામીનની ખોટ જેવી બિમારીમાં કારગર સાબિત નથી થતો.
દવાઓથી અજાણ
મોટા ભાગના હોમિયોપેથિક ડોક્ટરો તેમની દવાઓના નામ કે તેની પ્રિસ્ક્રીપ્શન લીસ્ટ નથી આપતા. વળી હોમિયોપેથિક સમાન કાયદા માને છે એટલે કે ઝેરનું ઓસડ ઝેર. દર વખતે આ કાયદો તમામ પ્રકારના દર્દીઓ પણ સમાન અસર નથી કરતો અને તે તમારી સ્થિતિ બગાડી પણ શકે છે.
ઓવરડોઝ
મનાય છે કે હોમિયોપેથિક દવાઓનો ઓવરડોઝ પણ લઇ લેવાય તો વાંધો નથી. પણ તેવું નથી. ધણીવાર દર્દીઓ માથુ દુખતા તે જ જૂની દવાઓની ચાર ગોળીઓ ખાઇ લે છે. પણ બની શકે ગત વખતે તમારું માથુ શરદીથી કે વાયુથી દુખતું હોય અને આ વખતે માઇગ્રેનથી. ત્યારે આવી ભૂલો કરતા ટાળવું જોઇએ. અને જેટલા દિવસ દવા લેવાની કીધી હોય તેટલા દિવસ જ દવા લેવી જોઇએ.
ઝાડા, પેટનો દુખાવો
હોમિયોપેથિક દવાઓનો ઓવરડોઝ તમને પેટના સંક્રમણનો શિકાર બનાવી શકે છે. જે વિષે તમને પહેલીવારમાં ખબર નથી પડતી. હોમિયોપેથિક દવાઓના ઓવરડોઝથી પેટમાં દુખાવો, ઝાડા જેવા પેટજન્ય રોગો થઇ શકે છે.
હોમિયોપેથિક એગ્રીવેશન
હોમિયોપેથિક એગ્રીવેશન કે ઉત્તેજના આ શબ્દ હોમિયોપેથિક ડોક્ટરો ત્યારે વાપરે છે જ્યારે યોગ્ય દવા આપવા છતાં પણ દર્દીની બિમારીના લક્ષણો વધી છે. જો કે શરૂઆતમાં બિમારીના લક્ષણો વધતા હોય છે જે પણ સાજા થવાની પ્રક્રિયાનો ભાગ છે.
બધા સાજા નથી થતા
હોમિયોપેથિક દવાઓ તમામ લોકોને એક જેવી અસર નથી કરતી. હોમિયોપેથિક દવાઓ ધણાને સદે છે અને ધણાને નહીં. ત્યારે ધણીવાર લાંબા ગાળે ફાયદો ના થતા દર્દીએ ઉપચારની બીજી વિધિ પણ અપનાવી પડે છે.