FilmReview:આખરે ખબર પડી ગઇ,કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
ફિલ્મ રિવ્યૂઃ બાહુબલી 2: ધ કનક્લૂઝન. આખરે ખબર પડી જ ગઇ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જાણો અહીં.
ફિલ્મ - બાહુબલી 2: ધ કનક્લૂઝન
સ્ટારકાસ્ટ - પ્રભાસ, રાણા દગ્ગુબટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના, રમ્યા ક્રિષ્ણન, સત્યરાજ
ડાયરેક્ટર - એસ.એસ.રાજામૌલી
પ્રોડ્યૂસર - શોબૂ યારલાગડ્ડા, પ્રસાદ દેવીનાની, કોવેલામુડી રાઘવેન્દ્ર રાવ
સ્ટાર - 4
બાહુબલી 2: ધ કનક્લૂઝન
બે વર્ષથી જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાતી હતી, તે ફિલ્મ બાહુબલી 2 આખરે રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ સાંપડ્યો છે. ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીએ સામાન્ય વાર્તાને એટલી સરસ રીતે રજૂ કરી છે કે, નીરસમાં નીરસ વ્યક્તિ પણ આંખો ફાડીને બસ સ્ક્રિનને જોયા જ કરે. બે વર્ષથી લોકો જે સવાલનો જવાબ શોધી રહ્યાં છે, એનો જવાબ આ ફિલ્મમાં ચોક્કસ મળે છે. પરંતુ એ સિવાય પણ ફિલ્મની વાર્તામાં ઘણું એવું છે, જે તમને અભિભૂત કરી જશે.
પ્લોટ
આ સ્ટોરી એક રીતે પહેલા પાર્ટની સિક્વલ છે. પહેલા પાર્ટમાં જે કેરેક્ટર્સનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું હતું, તેમની ખરી જીવનગાથા તમને આ ફિલ્મમાં જોવા મળશે. બાહુબલી, ભલ્લાલદેવ, શિવગામી, દેવસેના અને બિજ્જલદેવ. આ તમામ પાત્રોની આઇડિયોલોજી અને તેમને જે જોઇએ છે એ મેળવવાની જીદ્દ તેમને ક્યાં સુધી લઇ જાય છે એ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. બે ભાઇઓ વચ્ચે રાજ્યને લઇ થતી લડાઇની વાર્તા આપણા માટે નવી નથી. પરંતુ ફિલ્મ જે રીતે મોટા પડદે ઉતારવામાં આવી છે, તે અદભૂત છે. બાહુબલી અને ભલ્લાલદેવનો કન્ફ્રન્ટેશન સીન શાનદાર છે. ફિલ્મમાં ખરું ટ્વીસ્ટ લાવે છે દેવસેના, જે ફિલ્મના ક્લાઇમેક્સને ઓપ આપે છે.
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
ફિલ્મ જોવાની ખરી મજા તો જ આવે જો તેનું રહસ્ય અકબંધ રહે, પરંતુ છેલ્લા બે વર્ષથી કંઇ કેટલાયે લોકો આ સવાલના જવાબની રાહ જોઇને બેઠા છે. આથી અમે તમને આ જવાબ આપીશું. કટપ્પાએ રાજમાતા શિવગામીની બહેનના કહેવાથી બાહુબલીની પીઠ પર તલવારથી પ્રહાર કર્યો હતો. શા માટે એ તમે અંદાજો લાગવી જ શકો છો અને જો હજુ સ્પષ્ટ જવાબ જોઇતો હોય તો એ માટે ફિલ્મ જોવી પડશે. કટપ્પા બાહુબલીને અત્યંત પ્રેમ કરતો હતો, રાજા તરીકે તેનો આદર કરતો હતો અને ફિલ્મ ધ્યાનથી જોનારને યાદ હશે કે, બાહુબલીની પીઠમાં તલવાર મારતાં કટપ્પાનું શીર્ષ શરમ અને ગ્લાનિથી નમી જાય છે.
સ્ટ્રોન્ગ કેરેક્ટર્સ
આ ફિલ્મની સ્ટ્રેન્થ સ્ટોરી નહીં, પરંતુ તેના સ્ટ્રોન્ગ કેરેક્ટર્સ છે. જે દર્શકોના મન પર પહેલાં જ ઊંડી છાપ છોડી ચૂક્યા છે. અમરેન્દ્ર બાહુબલી, મહિષ્મતિનો આદર્શ રાજા. જેને ધર્મ અને કર્મ પર પૂરો વિશ્વાસ છે. રાણી દેવસેના, જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સત્યનો પક્ષ લેતાં ખચકાતી નથી. શિવગામી, માહિષ્મતિની સેવામાં જીવ આપનાર રાણી. બિજ્જલદેવ, જે પોતાના પુત્ર ભલ્લાદેવને રાજ અને સત્તા આપાવવાની લાલચમાં ક્રૂર થતાં જરા પણ અચકાતો નથી. ભલ્લાલદેવ, ક્રૂરતા અને વીરતાનું અદભૂત મિશ્રણ.
ડાયરેક્શન
ડાયરેક્ટર રાજામૌલીએ આ સાદી-સીધી વાર્તામાં પ્રાણ પૂર્યાં છે. તેમણે દરેક ફ્રેમને ખૂબ સુંદર રીતે સજાવીને દર્શકો સામે મૂકી છે. દરેક સંવેદનાને ખૂબ કાળજીપૂર્વક કેમેરામાં કેપ્ચર કરવામાં આવી છે. બાહુબલી ફિલ્મ કેનવાસ પર કરવામાં આવેલા આર્ટવર્ક સમાન છે. સેટ, લોકેશન્સ, કોશ્ચ્યૂમ્સ, લાર્જર ધેન લાઇફ કેરેક્ટર્સ દર્શકોને અભિભૂત કરવામાં સફળ રહે છે. માહિષ્મતિમાં વસેલું આ વિશ્વ થોડી જ મિનિટોમાં તમને પોતાનું લગાવા માંડે છે.
એક્ટિંગ
બાહુબલીના લીડ કેરેક્ટરના રોલમાં પ્રભાસે અદભૂત એક્ટિંગ કરી છે. તેણે જે સરળતાથી તમામ એક્સપ્રેશન પડદા પર રજૂ કર્યા છે, તે શાનદાર છે. ક્રૂર અને શક્તિશાળી રાજા ભલ્લાલદેવના રોલમાં રાણાએ પણ અત્યંત અદભૂત કામ કર્યું છે. દેવસેનાના રોલમાં અનુષ્કા શેટ્ટીનું પર્ફોમન્સ એ તેના કરિયરનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ ગણવામાં આવી રહ્યું છે. અન્ય પાત્રો રમ્યા ક્રિષ્ણન(શિવગામી), સત્યરાજ(કટપ્પા) અને નસેર(બિજ્જલદેવ)ની એક્ટિંગ પણ ખૂબ સરસ છે.
ટેક્નિકલ પોઇન્ટસ
આ ફિલ્મ દરેક ટેક્નિકલ પોઇન્ટ્સમાં હાઇએસ્ટ માર્ક મેળવી જાય છે. વીએફએક્સ, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઇન તમામમાં ફિલ્મ પરફેક્ટ છે. કેમેરા, એડિટિંગ તથા સ્પેશિયલ ઇફેક્ટ્સની આવી કરામત ઇન્ડિયન સિનેમામાં આજ સુધી જોવી નથી મળી. ક્લાઇમેક્સના કેટલાક સિનમાં એડિટિંગ કાચું પડે છે, પરંતુ ત્યાં સુધી દર્શકો વાર્તામાં એટલા ઇન્વોલ્વ થઇ જાય છે કે આ તરફ ધ્યાન જવું જ મુશ્કેલ છે.
વર્ડિક્ટ
ભારતીય સિનેમાજગતની આ એક અદભૂત ફિલ્મ છે. ફિલ્મની વાર્તા તમને કોઇ પણ કહી શકે છે. પરંતુ અહીં વાત વાર્તાને અનુભવવાની છે, જે માટે ફિલ્મ જોવી જ રહી. મોટા પડદે આ ફિલ્મ જોવી એ ખરેખર એક આહલાદક અનુભવ છે. ફિલ્મના અંતે બાહુબલી 2 ની આતુરતાથી રાહ જોઇ રહેલા ફેન્સને આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી સમાપ્ત થઇ હોવાનું દુઃખ થશે એ વાત પણ ચોક્કસ છે.
અહીં વાંચો
#Baahubaliના એ 9 રહસ્યો, જેના પરથી પડદો ઉંચકાઇ ગયો છે
બાહુબલી ફિલ્મ બાદ સૌના મોઢે એક જ પ્રશ્ન હતો, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જો કે, આ સિવાયના પણ ઘણા મહત્વપૂર્ણ રહસ્યો ઉકેલાશે બાહુબલીના બીજા પાર્ટમાં..આ રહસ્યો કયા છે?