Oh No! અનુષ્કા શર્માની 'પરી' ફરી મુસીબતમાં મુકાશે?
અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'પરી'નું શૂટિંગ કલકત્તા ખાતે થઇ રહ્યું છે, જ્યાં ફિલ્મના સેટ પર વીજળીનો ઝાટકો લાગવાને કારણે એક ટેક્નિશિયનનું મૃત્યુ થયું હતું.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ ફિલ્મ 'પરી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ કલકત્તા ખાતે થઇ રહ્યું છે. મંગળવારે રાત્રે જ્યારે કલકત્તા નજીકના એક તળાવ પાસે ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું, ત્યારે લોકોએ જોયું કે તળાવની સામેની બાજુએ કોઇ વ્યક્તિને અચાનક વીજળીનો ઝાટકો લાગતાં તે નીચે પડી ગયો. આ વ્યક્તિ બીજું કોઇ નહીં, પરંતુ ફિલ્મના સેટ પર કાર્યરત એક ટેક્નિશિયન હતો. આ ઘટના બની ત્યારે સેટ પર અનુષ્કા શર્મા, પરમબ્રતા ચેટર્જી અને અન્ય એક અભિનેતા પણ હાજર હતા. ટેક્નિશિયનને તાત્કાલિક નજીકની ન્યૂ ટાઉન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે, થોડા સમય પહેલાં જ કલકત્તામાં બધા ટેક્નિશિયનોએ હડતાલ કરી હતી, જેને કારણે ફિલ્મ 'પરી'નું શૂટિંગ પણ રોકવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ પછી 2 વાર હડતાલને કારણે ફિલ્મનું શૂટિંગ રદ્દ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મના સેટ પર જ ટેક્નિશિયન સાથે દુર્ઘટના થતા ફિલ્મના શૂટિંગમાં ફરી અડચણ ઊભી થવાની શક્યતા નકારી શકાય એમ નથી.
અનુષ્કાની આગામી ફિલ્મ 'પરી' એક રહસ્યમયી પ્રેમકથા છે, જે બંગાળમાં આકાર લે છે. આથી અનુષ્કા શર્મા તાત્કાલિક ફિલ્મના શૂટિંગના લોકેશનમાં પરિવર્તન કરી શકે એમ નથી. આ ફિલ્મમાં બંગાળી ફિલ્મોના જાણીતા અભિનેતા પરમબ્રતા ચેટર્જી પણ છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની આ ત્રીજી ફિલ્મ છે. 'પરી'નો અનુષ્કા શર્માનો પ્રથમ લૂક જોઇ કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, આ હોરર ફિલ્મ હશે, પરંતુ આ એક લવ સ્ટોરી છે. ફિલ્મ 9 ફેબ્રૂઆરી, 2018ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.