Shock! આ બોલિવૂડ એક્ટરની પત્નીએ કરી આત્મહત્યા
અભિનેતા મનોજ ગોયલના પત્નીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
શુક્રવારે ફિલ્મ એક્ટર ઇંદર કુમારના મૃત્યુના સમાચાર બાદ રવિવારે બોલિવૂડને વધુ એક ઝાટકો લાગ્યો હતો. ફિલ્મ અને ટીવી એક્ટર મનોજ ગોયલના પત્ની નીલિમાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર છે. આત્મહત્યા પાછળનુ કારણ ડીપ્રેશન હોવાનું કહેવાઇ રહ્યું છે. નીલિમાએ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી, તેમણે પોતાના પત્રમાં આત્મહત્યા માટે કોઇને જવાબદાર નથી ગણાવ્યા.
40 વર્ષીય નીલિમાએ બપોરે 3 વાગે આત્મહત્યા કરી હતી, આ સમયે ઘરે કોઇ નહોતું. તેમની પુત્રી સ્કૂલ ગઇ હતી અને પતિ મનોજ કામથી બહાર ગયા હતા. સ્કૂલથી પરત ફર્યા બાદ તેમની પુત્રીએ બીજી ચાવીની મદદથી દરવાજો ખોલ્યો હતો. નીલિમાની પુત્રીએ જણાવ્યું હતું કે, તે ઘરે આવી ત્યારે બેડરૂમનો દરવાજો બંધ હતો. અનેકવાર બોલાવ્યા બાદ પણ નીલિમાએ જ્યારે દરવાજો ન ખોલ્યો, તો તેણે પાડોશીઓને આ અંગે જાણ કરી. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને ફોન કરી જાણકારી આપી હતી. પોલીસે બેડરૂમનો દરવાજો તોડ્યો તો નીલિમાનું શરીર પંખા સાથે લટકેલું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નીલિમાના પતિ મનોજ ગોયલ જાણીતી બોલિવૂડ ફિલ્મો જેવી કે, 'કંપની', 'બ્લેક', 'બંટી ઓર બબલી' માં જોવા મળ્યા છે. આ સિવાય તેમણે સબ ટીવી પર આવતા પ્રોગ્રામ 'ગોલમાલ હે ભાઇ સબ ગોલમાલ હે' અને 'તુ મેરે અગલ બગલ હે'માં પણ કામ કર્યું છે.