ને બૉલીવુડનો આ દેશભક્ત કહેવાયો ભારત કુમાર
આજના બૉલીવુડની સરખામણીએ 60, 70 અને 80ના દશકાનું બૉલીવુડ અનોખું હતું. જ્યાં કોઇક ટ્રેજેડી કિંગ હતા, કોઇ રોમાન્સ કિંગ હતા, કોઇ શો મેન હતા તો કોઇ એંગ્રી યંગ મેન તો કોઇ દેશભક્ત હતા તો કોઇ કોમેડી માટે જ જાણીતા હતા, પરંતુ આજે એવું નથી, આજે એકાદ બે અભિનેતાઓને બાદ કરીને એક પણ એવો અભિનેતા કે અભિનેત્રી નથી કે જે પોતાના અનોખી અભિનય ક્ષમતાથી એક અલગ નામ ધરાવતા હોય. જો કે, અહીં નવા બૉલીવુડ અને જૂના બૉલીવુડ અંગે કોઇ ચર્ચા કરવા જઇ રહ્યાં નથી, પરંતુ એક સમયના સદાબહાર અને જાજરમાન અભિનેતા મનોજ કુમાર અંગે વાત કરવા જઇ રહ્યાં છીએ.
એ વાત થી કોઇ પણ અજાણ નહીં હોય કે હાલ તેમનું સ્વાસ્થ્ય નાદૂરસ્ત છે અને તેઓ મુંબઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આજે તેમનો જન્મ દિવસ છે. દેશભરમાં તેમના અનેક ચાહકો દ્વારા આ ભારતપુત્રના જન્મ દિવસને ઉજવવામા આવી રહ્યો છે. શહીદ, પુરબ ઓર પશ્ચિમ, ઉપકાર, ક્રાન્તિ સહિત અનેક એવી ફિલ્મો છે કે, જેમાં તેમણે પોતાની જાતને એક દેશભક્ત તરીકે રજૂ કર્યા.
આ કિસ્સો ફિલ્મ શહીદના પ્રીમીયરથી શરૂ થાય છે અને ઉપકાર ફિલ્મની સફળતાએ પૂર્ણ થાય છે. મનોજ કુમારે શહીદ ફિલ્મનું પ્રીમીયર યોજ્યુ હતું અને તેમાં હાજર રહેવા માટે તત્કાલિન પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીને આમંત્રણ પાઠવ્યું હતું. શાસ્ત્રીજીએ તેમનું આમંત્રણ સ્વીકારી તો લીધું પરંતુ કહ્યું કે તેઓ માત્ર 10 મીનિટ જ હાજર રહેશે. મનોજ કુમારે તેમની આ શરતને સહજતાથી આવકારી હતી, પરંતુ શહીદ ફિલ્મની કથા અને મનોજ કુમારની ભગત સિંહના પાત્રને પરદા પર જીવી જવાની અદા પર શાસ્ત્રીજી એ હદે ઓવારી ગયા હતા કે, તેમણે એક ધ્યાને આ ફિલ્મને નીહાળી હતી, એટલું જ નહીં પરંતુ તેમને ભેટી પણ પડ્યા હતા.
આ એ સમય હતો જ્યારે ભારત યુદ્ધ લડી રહ્યું હતું, આ સમય હતો 1965નો. શાસ્ત્રીજીને ફિલ્મ દર્શાવ્યાના બીજા દિવસે રાત્રીના 2 વાગ્યાની આસપાસ મનોજ કુમારનો ફોન રણક્યો, સામે છેડે શાસ્ત્રીજી હતા, જેમણે મનોજ કુમારને ચા માટે આમંત્રણ પાઠવ્યું હતું. બસ, આ એ ઘડી હતી કે જ્યારે મનોજ કુમારને ભારત કુમાર તરીકે બીજું રૂપ જીવવાના બીજ રોપાયા હતા. શાસ્ત્રીજીએ મનોજ કુમારને જય જવાન, જય કિસાનના સૂત્રને ફિલ્મો થકી દેશના નાગરીકો સુધી પહોંચાડવા જણાવ્યું , જેનો જરા પણ વિરોધ કર્યા વગર મનોજ કુમારે સ્વિકાર કર્યો.
શાસ્ત્રીજી સાથે મુલાકાત કરીને પરત ફર્યા બાદ મનોજ કુમાર મુંબઇ પરત ફરી રહ્યાં હતા અને એ જ સમયગાળામા ફિલ્મની કથા તૈયાર થઇ ગઇ. પછીના દશેક દિવસની અંદર ફિલ્મના સ્ક્રીન પ્લે અને ડાઇલોગ પર કામ હાથ ધરવામાં આવ્યું અને જોત જોતામાં ફિલ્મ શોટ માટે તૈયાર થઇ ગઇ. જી હાં, આ એ જ ફિલ્મ હતી 'ઉપકાર'. આ એજ ફિલ્મ છે જેમાં પ્રાણ સા'બને એક ચરિત્ર અભિનેતા તરીકે પણ ફિલ્મ જગતમાં જાણીતા કર્યા હતા.
આ ફિલ્મને મનોજ કુમારે શાસ્ત્રીજીને ડેડીકેટ કરી હતી. ઉપકારમાં મનોજ કુમાર એક ખેડુત તરીકેનું પાત્ર ભજવ્યું હતુ અને તેનું નામ હતું ભારત. આ ફિલ્મે અદભૂત સફળતા મેળવી હતી અને બસ આ ફિલ્મ સાથે જ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ફિલ્મ રસીકોએ મનોજ કુમારને ભારત કુમાર તરીકેની ઉપાધી આપી દીધી.