અચ્છા! તો અમિતાભનો પત્ર ઈમોશનલ નહીં પણ પ્રમોશનલ હતો!
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક પત્ર તેમની દોહિત્રી નવ્યા નવેલી અને પૌત્રી આરાધ્યા નામે લખ્યો હતો, જેમાં તેમણે આ બંનેને તેમની મરજી મુજબ જીવાવવાની અને બેધડક જે ગમે તે કરવાની સલાહ આપી હતી. આ પત્રની નવ્યા પર ઘણી અસર થઇ છે અને તેના જવાબ પરથી સાફ દેખાય છે કે તે નાના એ લખેલા પત્રથી કેટલી પ્રભાવિત થઇ છે.
નાના એ આપેલી સલાહો વાંચ્યા અને સમજ્યા બાદ નવ્યા એ જવાબી પત્રમાં લખ્યું છે કે તમે જે પ્રમાણે કહ્યું છે હું એમ જ કરીશ. આ સાથે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ પણ જવાબ લખ્યો છે અને દીકરીને સલાહ આપવા બદલ પિતાનો આભાર માન્યો છે.
અમિતાભનો આ અંદાજ તેમની ફિલ્મ 'પિંક'માં પણ ખાસ્સો ઝળકી રહ્યો છે. ત્યારે એવું લાગ્યું કે આ પત્ર ફિલ્મ પિંકને પ્રમોટ કરવાના ભાગરૂપે તો નહીં લખાયો હોય. અનેક વખત અમિતાભ બચ્ચનને આ સવાલ પૂછવામાં આવતો હતો કે તેમણે આ પત્ર શું કામ લખ્યો. પરંતુ હવે ફિલ્મ રીલીઝ પછી તે સવાલ અંગે ખુલાસો કરતા બચ્ચને જણાવ્યું છે કે ઘણા ઈન્ટરવ્યુમાં તેમને પિંકનાં કન્ટેન્ટ વિષે પૂછવામાં આવતું હતું પરંતુ ફિલ્મ થ્રીલર હોવાના કારણે તેઓ કશું જ કહી શકતા નોહતા. આ ઓપન લેટર ફિલ્મનાં કો-પ્રોડ્યુસર સુજીત સરકારનો આઈડિયા હતો. ફિલ્મની એક ઝલક લોકો સામે મુકવા માટે તેઓ પોતાની દીકરીઓને કંઇક લખે તેવું પ્લાનિંગ હતું. અમિતાભનું માનવું છે કે આ સારો વિચાર હતો, જેથી ફિલ્મની સ્ટોરી લાઈન કહ્યા વિના જ તેનો મેસેજ લોકો સુધી પહોચી શક્યો.
સાથે જ બચ્ચાને એ પણ સ્વીકાર કર્યો હતો કે પત્ર ભલે ગમે તે હેતુથી લખાયો હોય પરંતુ તે ખુબ જ ઈમોશનલ હતો અને ન કેવળ પોતાની દોહિત્રી અને પૌત્રીને સ્પર્શે તેવો હતો, પણ આખા દેશની બધી જ દીકરીઓ માટે તેમાં નવલો સંદેશ હતો.