મહાભારત 3D : અનિલ કપૂર અને મનોજ બાજપાઈ કરશે વૉઇસઓવર
મુંબઇ, 1 ઓક્ટોબર : બોલીવુડ એક્ટર્સ અનિલ કપૂર અને મનોજ બાજપાઈ જાણીતી પૌરાણિક કથા 'મહાભારત' પર આધારિત એનિમેટેડ થ્રીડી ફિલ્મમાં પોતાનો અવાજ એટલે કે વોઇસઓવર આપવાના છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મમાં કર્ણ માટેનો અવાજ અનિલ કપૂર આપશે જ્યારે યુધિષ્ઠિરના પાત્ર માટે મનોજ બાજપાઈ અવાજ આપશે. આ માટે તાજેતરમાં બંને કલાકારો અંધેરીમાં આવેલા ફ્યુચર વર્ક્સ સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા 3D મહાભારત ફિલ્મના પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ વાતને સમર્થન આપ્યું હતું.
આ અંગે વાત કરતા ગડાએ જણાવ્યું કે "મહાભારત થ્રીડી એનિમેશન ફિલ્મમાં બંને કલાકારો અત્યંત સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છે. તેમણે બંનેએ ફિલ્મના મહત્વના પાત્રો માટે પોતાનો અવાજ આપવા માટે સહમતિ દર્શાવી તે મારા માટે આનંદની વાત છે. અનિલ કપૂરે પોતાનું ડબિંગ પૂરું કરવા માટે 15 દિવસ આપ્યા હતા જ્યારે મનોજ બાજપાઈએ માત્ર દિવસમાં પોતાનું કામ પૂરું કર્યું છે."
આ મેગા ફિલ્મ માટે અન્ય જે બોલીવુડ કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે તેમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને ભીષ્મ પિતામહના પાત્રા માટે, વિદ્યા બાલને દ્રોપદીના પાત્ર માટે, સન્ની દેઓલે ભીમના પાત્ર માટે અને અજય દેવગણે અર્જુનના પાત્ર માટે અવાજ આપ્યો છે. જો કે દુર્યોધનના પાત્ર માટે કોનો અવાજ લેવો તેની શોધ ચાલી રહી છે.
ગડા આ ફિ્લ્મને દિવાળીની આસપાસ રજૂ કરવા માંગે છે. દિવાળીના તહેવારમાં ક્રિશ 3 રજૂ થઇ રહી છે. આ અંગે ગડાનું કહેવું છે કે અમે ઋત્વિકની ફિલ્મ સાથે કોઇ ટક્કર લેવા માંગતા નથી એટલે દિવાળીને અઠવાડિયા પહેલા કે અઠવાડિયા પછી આ ફિલ્મ રજૂ કરવામાં આવશે.