અરમાન કોહલીએ કોર્ટની બહાર 1 કરોડમાં ઉકેલ્યો ગર્લફ્રેન્ડ સાથેનો વિવાદ
અરમાન કોહલીની ધરપકડ બાદ નીરુએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને કોર્ટની બહાર બંનેએ આ મામલો ઉકેલી દીધો છે.
અરમાન કોહલી પર તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ થોડા દિવસ પહેલા મારપીટનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવી હતી. અરમાન કોહલીની ધરપકડ બાદ નીરુએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને કોર્ટની બહાર બંનેએ આ મામલો ઉકેલી દીધો છે. આ મામલો ઉકેલવા માટે અરમાને નીરુને એક કરોડ રૂપિયા આપ્યા ત્યારબાદ તેણે પોતાની ફરિયાદ પાછી ખેંચી અને કોર્ટે અરમાનને છોડી દીધો.
ગર્લફ્રેન્ડે લગાવ્યો હતો મારપીટનો આરોપ
બોલિવુડ અભિનેતા અરમાન કોહલી અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે થોડા દિવસો પહેલા મોટો વિવાદ થયો હતો. અરમાનની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ તેના પર મારપીટનો આરોપ લગાવ્યો હતો અને પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ અરમાન ફરાર થઈ ગયો હતો પરંતુ પોલિસે બુધવારે અરમાનને લોનાવાલાના એક ફાર્મહાઉસ પરથી પકડી લીધો. અરમાને તેની સામે એફઆઈઆર રદ કરવા માટે કોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી.
નીરુ રંધાવાએ પાછી ખેંચી ફરિયાદ
શુક્રવારે અરમાનની યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે એફઆઈઆર રદ કરી દીધી. કોર્ટે નીરુ રંધાવાએ ફરિયાદ પાછી ખેંચ્યા બાદ અને કોર્ટ બહાર બંને પક્ષોએ સમાધાન કર્યા બાદ એફઆઈઆર રદ કરી અને અરમાન કોહલીને છોડ્યો. ત્યારબાદ નીરુએ હાઈકોર્ટને જણાવ્યુ કે તે આ સમાધાનથી સંતુષ્ટ છે અને હવે કેસ આગળ વધારવા નથી ઈચ્છતી.
સમાજ માટે દાન આપશે અરમાન કોહલી
તેમણે બે એફિડેવિટ ફાઈલ કરાવીને એફઆઈઆર રદ કરાવવા માટે પરવાનગી આપી. અરમાન કોહલી કોર્ટમાંથી છૂટી તો ગયો છે પરંતુ કોર્ટનું માનવુ છે કે તેણે સમાજ માટે કંઈક કરવુ જોઈએ. એટલા માટે કોર્ટે અરમાનને કહ્યુ છે કે તે ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચિલ્ડ્રન ડિપાર્ટમેન્ટ ફોર કેન્સર અને વર્લીના નેશનલ એસોસિએશન ઓફ બ્લાઈન્ડને છ સપ્તાહની અંદર 1-1 લાખ રૂપિયાની મદદ આપશે. અરમાને કોર્ટમાં નિવેદન પણ આપ્યુ કે તે આવી હરકત ફરીથી નહિ કરે.