Pics : રહસ્યમય મોત : ગુરુ દત્તથી જિયા ખાન સુધી
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડ હોય કે સૉલીવુડ સરવાળે ગ્લૅમર જગતમાં રહસ્યમય મોત કોઈ નવી બાબત નથી. અમિતાભ બચ્ચન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાનના માતા રાબિયા ખાન દ્વારા જિયાની હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે શું જિયાના મોત પર છવાયેલો રહસ્યનો પડદો ઉઠશે. જિયાએ ગત 3જી જૂને આપઘાત કરતાં ગ્લૅમર જગતની વરવી સચ્ચાઈ પુનઃ એક વાર સામે આવી ગઈ હતી કે જ્યાં ચકાચોંધ સાથે જ એક ઉંડી નિરાશા પણ છે કે જે કેટલાંકના જીવન સુદ્ધા ભરખી જાય છે.
બૉલીવુડમાં રહસ્યમય મોતનો ઇતિહાસ જોઇએ, તો આની શરુઆત જાજરમાન અભિનેતા ગુરુ દત્તથી થઈ હતી. જિયા ખાન અગાઉ દિવ્યા ભારતીનું મોત પણ આટલું જ ચર્ચામાં રહ્યુ હતું. તેવી જ રીતે સિલ્ક સ્મિતા, પરવીન બાબી અને લલિતા પવાર પણ રહસ્યમય રીતે મોતને ભેટ્યા હતાં. દિવ્યા ભારતી હોય કે પછી જિયા ખાન, સવાલ તો એ જ છે કે શું આ રહસ્યમય મોતો પાછળના મહત્વના પરિબળોનો ક્યારેય ખુલાસો થશે ખરો? હવે જોઇએ મુંબઈ હાઈકોર્ટ રાબિયા ખાનના સવાલો સામે કેવાંક પગલા ભરે છે.
હાલ તો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના રહસ્યમય મોતો.
ગુરુ દત્ત
હિન્દી સિનેમાના જૂના અને જાણીતા અભિનેતા ગુરુ દત્તનું 10મી ઑગસ્ટ, 1964ના રોજ મૃત્યુ થયુ હતું. તેમના મોતનું કારણ વધુ પડતી દારૂ અને ઉંઘની ગોળીઓ ખાવાનું જણાવાયુ હતું.
ગીતા દત્ત
ગીતા દત્ત પોતાના પતિ ગુરુ દત્તના મોત બાદ નાણાંકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. પછી તેમને લિવરની બીમારી થઈ અને એકાકીપણા સાથે 20મીજુલાઈ, 1972ના રોજ તેમનું નિધન થઈ ગયું.
દિવ્યા ભારતી
બૉલીવુડમાં દીવાના ફિલ્મની સફળતા સાથે શાનદાર શરુઆત કરનાર દિવ્યા ભારતી અચાનક 5મી એપ્રિલ, 1993ના રોજ પોતાના ફ્લૅટના પાંચમા માળેથી પટકાઈ મોતને ભેટ્યા હતાં. તેમના મોતનું રહસ્ય આજે પણ અકબંધ છે. તેમના પતિ સાજિદ નડિયાદવાલા સામે કેસ થયો હતો, પણ હાલ ફાઇલ બંધ થઈ ચુકી છે.
સિલ્ક સ્મિતા
દક્ષિણના હૉટ અને બોલ્ડેસ્ટ અભિનેત્રી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરનાર સિલ્ક સ્મિતા ચેન્નઈ ખાતેના પોતાના ઍપાર્ટમેંટમાં 23 સપ્ટેમ્બર, 1996ના રોજ મૃત હાલતમાં મળ્યા હતાં. તેમની ઉપર ધ ડર્ટી પિક્ચર ફિલ્મ પણ બની હતી.
લલિતા પવાર
હિન્દી સિનેમામાં અનેક પ્રકારના રોલ કરનાર લલિતા પવાર 24મી ફેબ્રુઆરી, 1998ના રોજ તેમના ઘરે એકલા મૃત હાલતમાં મળી આવ્યા હતાં
પ્રિયા રાજવંશ
પ્રિયા રાજવંશનું 27મી માર્ચ, 2000ના રોજ નિધન થઈ ગયું. તેમના મોત અંગે મીડિયાની રિપોર્ટોએ જણાવ્યુ હતું કે તેમણે આપઘાત કર્યો છે, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ પ્રિયાનું હૃદય રોગના હુમલાના કારણે મોત નિપજ્યુ હતું.
નફીસા જોસેફ
29મી જુલાઈ, 2004ના રોજ નફીસા જોસેફે પોતાના મંગેતરના કારણે આપઘાત કરી લીધો હતો.
પરવીન બાબી
પરવીન બાબી 20મી જાન્યુઆરી, 2005ના રોજ પોતાના ઘરે એકલા મૃત હાલતમાં મળી આવ્યા હતાં. એક સમયના હૉટ અને સફળતમ અભિનેત્રી પરવીન બાબી ત્રણ દિવસ સુધી ઘરેથી બહાર નહોતા આવ્યાં કે જે પછી તેમના પાડોસીએ પોલીસને માહિતી આપી હતી.
કુલજીત રંધાવા
કુલજીત રંધાવા 8મી ફેબ્રુઆરી, 2006ના રોજ જુહૂ ખાતે આવેલ તેમના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં.
કુણાલ સિંહ
દિલ હી દિલ મેં ફિલ્મમાં અભિનેતા કુણાલ સિંહ 7મી ફેબ્રુઆરી, 2008ના રોજ પોતાના ઘરે ગળાફાંસો લાગેલી હાલતમાં મળી આવ્યા હતાં.
વિવેકા બાજપાઈ
મૉડેલમાંથી અભિનેત્રી બનેલા વિવેકા બાજપાઈ 25મી જૂન, 2010ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. તેમના મોત પાછળનું કારણનો આજ સુધી ખુલાસો થયો નથી.
નલિની જયવંત
નલિની જયવંત 24મી ડિસેમ્બર, 2010ના રોજ મૃત્યુ પામ્યા હતાં. તેઓ ચેમ્બૂર ખાતે આવેલ પોતાના બંગલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. મૃત્યુ સમયે તેમની પાસે કોઈ નહોતું.
જિયા ખાન
નિશબ્દ ફિલ્મમાં અમિતાભ સાથે કૅરિયર શરૂ કરનાર આ કડીમાં વધુ એક ઉમેરો છે કે જેમનું રહસ્યમય હાલતમાં મોત નિપજ્યું હતું. તેઓનું શબ તેમના ઘરે પંખા સાથે લટકતી હાલતમાં 3જી જૂન, 2013 સોમવારે રાત્રે મળી આવ્યું હતું. તેમના માતા રાબિયા ખાને જિયાની હત્યાની શંકા વ્યક્ત કરી છે.