ફતવો : બાળકોના નામ શાહરુખ-સલમાન ન રાખો!
મુંબઈ, 12 ઑગસ્ટ : આજે હિન્દી સિનેમાની આન-બાનશાન છે શાહરુખ ખાન અને સલમાન ખાન. તેમની લોકપ્રિયતાના પગલે આજનો યુવા વર્ગ શાહરુખ-સલમાન બનવાની કોશિશ કરે છે. આપણી યુવા પેઢીની કોશિશ હોય છે કે તેમના જેવો લુક, સ્ટાઇલ રાખે, પણ કેટલાંક લોકોને આ નથી ગમતું. તેથી જ તેમણે ફતવો જારી કરી લોકોને આ બંને સિતારાઓના નામથી પણ દૂર રહેવાની સલાહ આપી છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના મૌલવી શફીક-ઉર-રહેમાને ઈદની નમાજ અતા કર્યા બાદ પોતાના મુસ્લિમ ભાઇઓને અપીલ કરી કે તેઓ પોતાના બાળકોના નામ શાહરુખ ખાન કે સલમાન ખાન ન રાખે. મૌલવીની નારાજગીનું કારણ પણ રસપ્રદ છે.
મૌલવીએ જણાવ્યું કે શાહરુખ-સલમાન પોતાની ફિલ્મો ઈદના પ્રસંગે રિલીઝ કરી ખૂબ પૈસા કમાય છે અને આ રકમમાંથી મુસ્લિમ કોમ માટે કશુંય નથી કરતાં. તેથી તેમના દ્વારા ફતવો જારી કરી આ અપીલ કરાઈ છે.
નોંધનીય છે કે ગત વર્ષે ઈદ પ્રસંગે સલમાનની ફિલ્મ એક થા ટાઇગર રિલીઝ થઈ હતી કે જેણે 200 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે આ વર્ષે ઈદ પ્રસંગે લાંબા સમય બાદ શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ રિલીઝ થઈ છે કે જેણે પ્રથમ જ દિવસે 33 કરોડ રુપિયાની કમાણી કરી લીધી હતી. જોવાનું એ રહે છે કે મૌલવી સાહેબની આ અપીલની લોકો પર કેવી અને કેટલી અસર થાય છે?