સંજય દત્તની સજા બૉલીવુડના કરોડો ડુબાડશે?
મુંબઈ, 21 માર્ચ : સંજય દત્ત અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક હજાર કરોડ રુપિયા ફસાઈ ગયાં છે. સંજય દત્તે હવે જેલ જવું પડશે અને આ વર્ષ 2013-14માં રિલીઝ થનારી આઠ ફિલ્મો મુશ્કેલીમાં મુકાઈ જશે. આ ફિલ્મો પાછળ લગભગ એક હજાર કરોડ રુપિયા દાવ ઉપર લાગેલાં છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર સૌની નજર હતી અને જેવો ચુકાદો આવ્યો કે સંજય દત્ત, તેમના પરિવારની સાથે-સાથે તેમને લઈને ફિલ્મ બનાવતાં નિર્માતા-દિગ્દર્શકોમાં પણ સોપો પડી ગયો. સંજય દત્ત જેલ જતાં હવે જે ફિલ્મો અધૂરી છે, તે ખરાબ રીતે પ્રભાવિત થશે. શક્ય છે કે તેવી ફિલ્મો ડબ્બામાં જતી રહે અથવા તો પછી સંજય દત્તના સ્થાને કોઈક બીજાને લઈ લેવાય.
સંજય દત્તની આગામી ફિલ્મોમાં સૌથી મહત્વની છે મુન્નાભાઈ ચલે દિલ્હી છે. મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈની સિક્વલ મુન્નાભાઈ ચલે દિલ્હી ફિલ્મનો સૌને ઇંતેજાર છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સૌને ઝાટકો લાગ્યો છે. ઉપરાંત સંજય દત્ત આમિર ખાનની પીકે, ધમાલ સિરીઝની સિક્વલ ટોટલ ધમાલમાં પણ કામ કરી રહ્યાં છે.
2013માં સંજય દત્તની પાંચ ફિલ્મો રિલીઝ થનાર છે. ઝંજીર, ઉંગલી, શેર, પુલિસગિરી અને ઘનચક્કરમાં સંજયની મહત્વની ભૂમિકા છે. ઝંજીર તથા ઘનચક્કરનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
સરવાળે સંજય દત્ત ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 1000 કરોડ રુપિયા દાવ ઉપર લાગેલાં છે.
1993 to 2013: સંજૂબાબાના કેસનું અતઃ થી ઇતિ