સુમિતે કર્યું સલીમ-જાવેદ સાથે સૅટલમેંટ, ઝંજીરનું વિઘ્ન દૂર!
મુંબઈ, 5 સપ્ટેમ્બર : આવતીકાલે રિલીઝ થતી 1973ની સુપરહિટ ફિલ્મ ઝંજીરની રીમેકની રિલીઝ સામેનું વિઘ્ન ટળી ગયું છે. ફિલ્મના નિર્માતા સુમિત મહેરાએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ઝંજીરના મૂળ લેખકો સલીમ-જાવેદે કૉપીરાઇટ કેસ હેઠળ સુમિત મહેરાને કોર્ટમાં ઘસીટ્યા હતાં.
સલીમ-જાવેદનું કહેવુ હતું કે ઝંજીરની પટકથા અને સંવાદો ઉપર માત્ર તેઓનો જ હક છે. તેથી રીમેક બનાવતા અગાઉ તેમની સાથે વાત થવી જોઇતી હતી, પરંતુ મહેરાએ આમ ન કર્યું. બંનએ સુમિત મહેરા પાસેથી છ કરોડનું વળતર માંગ્યુ હતું. પ્રકાશ મહેરાના પુત્ર સુમિત મહેરા ઝંજીરની રીમેકના મિર્માતા છે. સલીમ-જાવેદે માંગણી કરી હતી કે જો વળતર ન અપાય, તો ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઇએ.
કોર્ટે આ મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને પક્ષોને બેસીને કેસ સૉલ્વ કરવા જણાવ્યુ હતું. તે પછી બંને પક્ષો વાતચીત માટે સંમત થયાં. બેઠક દરમિયાન પ્રકાશ મહેરા સલીમ-જાવેદ સાથે વાત કરી ગૂંચ ઉકેલી નાંખી છે. સાંભળવા મળ્યું છે કે સુમિત મહેરાએ સલીમ-જાવેદનો ગુસ્સો શાંત કરવા સારી-એવી રકમ આપી છે.
નોંધનીય છે કે 1973માં આવેલી ઝંજીર ફિલ્મ અમિતાભ બચ્ચનની પ્રથમ સુપર હિટ ફિલમ હતી. સતત 17 ફ્લૉપ ફિલમો આપ્યા બાદ અમિતાભ બચ્ચન ઍંગ્રી યંગ મૅન તરીકે આ ફિલ્મ સાથે જ ઝળક્યા હતાં. જયા બચ્ચન અને પ્રાણ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હતાં. રીમેકમાં રામ ચરણ તેજા, પ્રિયંકા ચોપરા તથા સંજય દત્ત લીડ રોલ કરી રહ્યાં છે.