જાણીતી એક્ટ્રેસ, પુત્રએ તરછોડી, વૃદ્ધાશ્રમમાં વિતાવશે જીવન
પાકીઝા એક્ટ્રેસ ગીતા કપૂરને ફિલ્મમેકર અશોક પંડિત જલ્દી જ એક વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી રહ્યાં છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, હવે હું તેમનો પુત્ર છું અને હું તેમનું ધ્યાન રાખીશ.
મીના કુમારીની ફિલ્મ પાકીઝાને રિલીઝ થયાને વર્ષો વીતી ગયાં, પરંતુ ફિલ્મના દરેક કલાકાર લોકોને આજે પણ યાદ હશે. આ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર એક એક્ટ્રેસ હતી ગીતા કપૂર, તેમણે 100થી વધુ બોલવિૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ પોતાની જિંદગીના ખૂબ દુઃખદાયક સમયમાંથી પસાર થઇ રહી છે.
પુત્ર રાજા નાસી છૂટ્યો
21 એપ્રિલના રોજ ગીતા કપૂરને બ્લડ પ્રેશરની ફરિયાદ થઇ હતી, આથી તેમના પુત્ર રાજાએ તેમને મુંબઇની SRV હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ગીતા કપૂરને હોસ્પિટલ મુકી તેમનો પુત્ર નાસી છૂટ્યો છે. આ વાતને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. ગીતા કપૂરનો પુત્ર રાજા તેમને જોવા બીજી વાર હોસ્પિટલ પણ નથી ગયો અને ના તો ફોન પર તેમની સાથે વાત કરવા તૈયાર છે.
ATMમાંથી પૈસા ઉપાડવાના બહાને નાસી છૂટ્યો
આ અંગે જાણકારી આપતાં ચીફ ઇન્ટેસિવિસ્ટ દીપેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું કે, "રાજાએ તેની માતા માટે એમ્બ્યૂલન્સ બોલાવી હતી. એમબ્યૂલન્સ હોસ્પિટલ પહોંચતા રાજાને ડિપોઝિટની રકમ ભરવા જણાવવામાં આવ્યું. રાજા એટીએમમાંથી પૈસા કાઢવાના બહાર ગયો, એ પછી પાછો નથી આવ્યો."
ભાડાનું હતું ઘર
રાજા પરત ન ફરતાં હોસ્પિટલા કર્માચારીઓને તેની તપાસ માટે મોકલતાં જાણવા મળ્યું કે, રાજાનું ઘર ભાડાનું હતું, પોતાની માતાને હોસ્પિટલ મુક્યા બાદ તુરંત જ તે ઘર ખાલી કરીને જતો રહ્યો હતો. રાજા હોસ્પિટલના ફોન પણ નથી ઉંચકતો, તેણે હોસ્પિટલના અમુક નંબર બ્લોક કરી દીધાં છે. જ્યારે કોઇ અન્ય નંબર પરથી ફોન કરવામાં આવે તો એ સામે માત્ર એક ટેક્સ્ટ મેસેજ કરે છે, તે બિલ જલ્દી જ ચૂકવી દેશે.
ગીતાને મારતો હતો તેમનો પુત્ર
પોલીસ અનુસાર ગીતા કપૂરની એક પુત્રી પણ છે, જે એરહોસ્ટેસ છે. તેમની એક પુત્રવધુ પણ છે, હોસ્પિટલ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા સાથે વાત કરતી વખતે ગીતાએ રડતાં-રડતાં પોતાની આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું કે, હું જ્યારે મારા પુત્રને તેના ખોટા શોખ પૂરા કરવા માટે પૈસા નહોતી આપતી, ત્યારે એ મને ખૂબ માર મારતો.
મદદ માટે આગળ આવ્યા ફિલ્મમેકર
ફિલ્મમેકર અશોક પંડિત અને રમેશ તૌરાનીને આ વાતની જાણ થતાં તેઓ ગીતાની મદદ માટે આગળ આવ્યા. અશોકે જ્યારે મદદ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમને ખબર નહોતી ગીતા કપૂર જાણીતી અભિનેત્રી રહી ચૂક્યાં છે. ગીતાની સ્ટોરી સાંભળી અશોક પંડિત પણ દંગ રહી ગયા.
રિતેશ અને આશા પારેખ પણ મદદ માટે આગળ આવ્યા
અશોક પંડિતે જણાવ્યું કે,પોતાની વાત કરતી વખતે પણ ગીતા સતત રડી રહ્યાં હતા. પરિવારના એનઓસી વગર ગીતાને હોસ્પિટલમાંથી બીજે ખસેડવા મુશ્કેલ હતા, પરંતુ એક મોટા પોલીસ અધિકારીની મદદ લઇ અશોક પંડિતે ગીતા કપૂરને એક સારા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કર્યાં છે. તેઓ પોતાનું બાકીનું જીવન ત્યાં જ ગાળશે. ઉલ્લેખનીય છે કે, ગીતાની સ્ટોરી જાણ્યા બાદ રિતેશ દેશમુખ અને આશા પારેખ પણ તેમની મદદ માટે આગળ આવ્યા હતા.
હું હવે તેમનો પુત્ર છુંઃ અશોક પંડિત
આ વાતની પુષ્ટિ કરતાં અશોક પંડિતે જણાવ્યું કે, હા, અમે ગીતાજીને તેમના નવા ઘરે શિફ્ટ કરી રહ્યાં છીએ.તેઓ વુદ્ધાશ્રમમાં ખુશ અને સુરક્ષિત રહેશે. મેં ગીતાજીને હવે વધુ નહીં રડવાનું કહ્યું છે. હવે હું તેમનો પુત્ર છું અને હું તેમનું ધ્યાન રાખીશ.